જો વોટ્સએપ પર અભદ્ર મેસેજ કે ધમકી મળે તો અહીં કરો ફરિયાદ…

નવી દિલ્હીઃ જો તમે વોટ્સએપ પર મળી રહેલા અભદ્ર મેસેજ અને આપત્તિજનક મેસેજથી પરેશાન છો તો હવે ચિંતા કરવાની જરુર નથી. તમે આની ફરિયાદ દૂરસંચાર વિભાગ પાસે નોંધાવી શકો છો. દૂરસંચાર વિભાગ આ માટે આગળની કાર્યવાહી માટે ટેલીકમ્યૂનિકેશન સર્વિસ પ્રોવાઈડર અને પોલીસ પાસે મોકલશે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર વોટ્સએપ પર પ્રાપ્ત આપત્તિજનક સંદેશાઓ વિરુદ્ધ હવે લોકો દૂરસંચાર વિભાગ પાસે પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. આના માટે પીડિતને મોબાઈલ નંબર સાથે જે મેસેજ આવ્યો છે તેનો સ્ક્રીનશોર્ટ  લઈને ccaddn-dot@nic.in પર મેઈલ કરવાનો રહેશે.

દૂર સંચાર વિભાગના સંચાર નિયંત્રક આશીષ જોષીએ ટ્વિટમાં કહ્યું કે જો કોઈ અયોગ્ય, આપત્તિજનક, અને ધમકીભર્યા અથવા તો અશ્લીલ વોટ્સએપ મેસેજ આપને મળે તો તે મોબાઈલ નંબર સાથે મેસેજના સ્ક્રીનશોર્ટને ccaddn-dot@nic.in પર મોકલી દો. તેમણે કહ્યું કે જરુરી કાર્યવાહી માટે ટેલિકમ્યુનિકેશન સર્વીસ પ્રોવાઈડર અને પોલીસ અધીકારીઓ સમક્ષ આ ફરીયાદ રજૂ કરવામાં આવશે.

ઘણા લોકો અને લોકપ્રિય હસ્તિઓ અભદ્ર અને ધમકીભર્યા મેસેજ મળવાની ફરિયાદ કરતા હતા ત્યારબાદ આ પગલું ભરવામાં આવ્યું છે. ડીઓટીએ 19 ફેબ્રુઆરીના રોજ એક આદેશમાં કહ્યું હતું કે લાઈસન્સની શરતો નેટવર્ક પર આપત્તિજનક, અશ્લીલ, અનઅધિકૃત અથવા કોઈ અન્ય રુપમાં ખોટા મેસેજ મોકલવા પર રોક લગાવે છે. આદેશમાં તમામ ટેલિકમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઈડરને ખોટા મેસેજ મોકલનારા ગ્રાહકો પર તાત્કાલીક કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે.