5 વર્ષમાં સામે આવ્યાં 1 લાખ કરોડ રૂપિયાના બેંક કૌભાંડોઃ RBI રિપોર્ટ

નવી દિલ્હીઃ ગત પાંચ વર્ષમાં ભારતીય બેંકોમાં 1 લાખ કરોડ રૂપિયાના કૌભાંડો સામે આવ્યા છે. આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર આ દરમિયાન આશરે 23 હજાર બેંક ફ્રોડ મામલાઓ સામે આવ્યા છે. બીજી બાજુ બેંકોના NPA પણ તેજીથી વધી રહ્યો છે. 31 ડિસેમ્બર 2017 સુધી તમામ બેંકોના એનપીએ વધીને 8,40,958 રૂપિયા થઈ ગયો હતો.

આરબીઆઈએ એક આરટીઆઈના જવાબમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2017-18માં બેંક ફ્રોડની 5,152 ઘટનાઓ રિપોર્ટ થઈ છે, જ્યારે વર્ષ 2016-17માં આવી 5,000 ઘટનાઓ નોંધાઈ હતી. નાણાકીય વર્ષ 2017-18ની તુલનામાં થયેલી ઘટનાઓમાં કુલ મળીને 28,459 કરોડ રૂપિયાનો ગોટાળો થયો હતો, જ્યારે નાણાકીય વર્ષ 2016-17 બાદ આ ઘટનાઓમાં 23,933 કરોડ રૂપીયાનો ગોટાળો થયો.

આરબીઆઈના જણાવ્યા અનુસાર 2013 થી 1 માર્ચ 2018 સુધી કુલ મળીને 23,866 ગોટાળાના મામલાઓ સામે આવ્યા છે. આ મામલાઓમાં 1,00,718 કરોડ રૂપિયાના કૌભાંડો સામે આવ્યા છે. વર્ષ 2015-16 દરમિયાન 4,693 મામલાઓમાં 18,698 કરોડ રૂપિયા અને 2014-15 દરમિયાન 4,639 મામલાઓમાં 19,455 કરોડ રૂપિયાના કૌભાંડો થયા છે. ત્યાં જ 2013-14 દરમિયાન 4,306 મામલાઓમાં 10,170 કરોડ રૂપિયાના કૌભાંડો થયા હતા.