ઉર્જિત પટેલ RBIના ગવર્નરપદેથી રાજીનામું આપશે એવા અહેવાલોને રદિયો

મુંબઈ – ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ગવર્નરપદેથી ઉર્જિત પટેલ રાજીનામું આપશે એવા અમુક અહેવાલોને સૂત્રોએ રદિયો આપ્યો છે.

મોદી સરકાર અને આરબીઆઈ વચ્ચે અણબનાવ થયો છે અને એને પગલે પટેલ એમના હોદ્દા પરથી રાજીનામું આપશે એવા અહેવાલો વચ્ચે સૂત્રોએ આ સ્પષ્ટતા કરી છે.

‘ઝી બીઝ’નાં અહેવાલ મુજબ, સૂત્રોએ કહ્યું છે કે પટેલના રાજીનામાના અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા છે.

કેન્દ્રીય બેન્કે અમુક જૂના મુદ્દાઓ પર તેમજ આરબીઆઈ તથા સરકાર વચ્ચે જેને લીધે ખેંચતાણ ઊભી થઈ છે તે વિશે ચર્ચા કરવા માટે 19 નવેમ્બરે બોર્ડની મીટિંગ બોલાવી છે.

કેન્દ્રીય નાણાં મંત્રાલયે આજે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે સરકાર તથા આરબીઆઈ, બંને માટે જનહિત તથા અર્થવ્યવસ્થાની જરૂરિયાતો પથદર્શક સમાન છે. મંત્રાલયે એવી સ્પષ્ટતા પણ કરી છે કે આરબીઆઈ સાથે એને થયેલી મંત્રણાને તેણે ક્યારેય જાહેર કરી નથી.

નાણાં મંત્રાલયે કહ્યું છે કે કેન્દ્રીય બેન્કની સ્વાયત્તતા આરબીઆઈ કાયદાના માળખાને અંતર્ગત જ રહી છે. સરકાર તથા આરબીઆઈ, બંને પોતપોતાની કામગીરીમાં જનહિત દ્વારા જ માર્ગદર્શન મેળવતા આવ્યાં છે.