મોદી સરકારની 5 કરોડ ઈપીએફ કર્મચારીને ભેટ, વ્યાજદરમાં વધારો કર્યો

નવી દિલ્હીઃ ચૂંટણી પહેલાં મોદી સરકારે એક મોટી ભેટ આપી છે. ચાલુ નાણાકીય વર્ષ માટે પીએફના વ્યાજદર 0.10 ટકા વધારીને 8.65 ટકા કરી દેવામાં આવ્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓના ટ્રસ્ટીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈપીએફઓએ 2017-18 માં પણ પોતાના અંશધારકોને 8.55 ટકા વ્યાજ આપ્યું હતું. વ્યાજદરમાં આ વધારાનો ફાયદો 5 કરોડ પીએફ સબ્સક્રાઈબર્સને મળશે.

શ્રમ પ્રધાનની અધ્યક્ષતાવાળા ટ્રસ્ટી બોર્ડ ઈપીએફઓ માટે નિર્ણય લેનારી સંસ્થાં છે, જે નાણાકીય વર્ષ માટે ભવિષ્ય નિધિ જમા પર વ્યાજદરને અંતિમ રુપ આપે છે. બોર્ડની મંજૂરી બાદ આ પ્રસ્તાવ પર નાણામંત્રાલય પાસેથી સહમતિની જરુરિયાત હશે. નાણા મંત્રાલયની મંજૂરી બાદ વ્યાજદરને અંશધારકના ખાતામાં નાંખવામાં આવશે. વ્યાજદરમાં વધારાનો આશરે 5 કરોડથી વધુ કર્મચારીઓને લાભ થશે.

વર્ષ 2017-18 માં પીએફ પર વ્યાજદર 8.55 ટકા રહ્યો હતો. તો વર્ષ 2016-17 માં 8.65 ટકા અને 2015-16 માં 8.8 ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું. 2013-14 અને 2014-15 માં વ્યાજદર 8.75 ટકા હતો.