પોર્ટેબલ પેટ્રોલ પંપ માટે પેટ્રોલિયમ મંત્રાલયે આપી મંજૂરી, જાણો વધુ વિગત

નવી દિલ્હીઃ હવે પેટ્રોલપંપ લગાવવા માટે પેટ્રોલિય મંત્રાલય અને કંપનિઓના ચક્કર લગાવવાની જરુર નથી. તમે માત્ર બે કલાકમાં જ પેટ્રોલ પંપ લગાવી શકો છો. આ પેટ્રોલ પંપને પોર્ટેબલ પેટ્રોલ પંપનું નામ આપવામાં આવ્યું છે અને આને માત્ર બે કલાકમાં લગાવી શકાય છે. પોર્ટેબલ પેટ્રોલ પંપની ટેક્નીકને પેટ્રોલિયમ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. પોર્ટેબલ પેટ્રોલ પંપની ટેક્નિકને વિકસિત કરનારી કંપની એલિંજ ગ્રુપ આની થોડા સમયમાં ઔપચારિક જાહેરાત કરી શકે છે.

પોર્ટેબલ પેટ્રોલ પંપના ત્રણ મોડલ હશે. જે લોકો આ પોર્ટેબલ પેટ્રોલ પંપ સાથે વ્યવસાય કરવા માંગતા હોય તેવા લોકોને પ્રથમ મોડલ માટે 90 લાખ રુપિયાનો ખર્ચ થશે. બીજા મોડલ માટે 1 કરોડ રુપિયા તો ત્રીજા મોડલ માટે 1.2 કરોડ રુપિયાનો ખર્ચ થશે. જો કે ડિલરની નિયુક્તિ કંપની દ્વારા કરવામાં આવશે.

પોર્ટેબલ પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ અને ડીઝલ સાથે ગેસ પણ મળશે. આ પેટ્રોલ પંપની ક્ષમતા 9000 થી 35000 લીટર હશે. આ પેટ્રોલ પંપને ગામડાના પહાડી વિસ્તારમાં પણ લગાવી શકાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 8 વર્ષથી પોર્ટેબલ પેટ્રોલ પંપની ટેક્નીક પર કામ કરવામાં આવી રહ્યું હતું. આ કામમાં પેટ્રોલિયમ કંપનીઓ સાથે પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સૌથી પહેલા ઉત્તર પ્રદેશની 2000 જેટલી જગ્યાઓ પર પોર્ટેબલ પેટ્રોલ પંપ લગાવવાની યોજના છે. કંપની આ કામ માટે ડીલરશીપ આપશે. ડીલરને રાજ્ય સરકાર દ્વારા લાઈસન્સ આપવામાં આવશે.