પેટ્રોલનો ભાવવધારોઃ પીએમ મોદી આંતરરાષ્ટ્રીય ઓઈલ કંપનીઓના CEOs સાથે ચર્ચા કરશે

નવી દિલ્હી – ઈરાન ઉપર અમેરિકાના આર્થિક નિયંત્રણોને કારણે વિશ્વસ્તરે ઊભી થયેલી ધ્રૂજારી તથા આર્થિક વિકાસ પર જોખમ ઊભું કરનાર ઈંધણના ઊંચા ભાવને કારણે ભારતમાં ઊભી થયેલી પરિસ્થિતિ વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ટોચની આંતરરાષ્ટ્રીય તથા ભારતીય ઓઈલ અને ગેસ કંપનીઓના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસરો સાથે ચર્ચા કરશે.

ભારતમાં કાચા તેલ તથા ગેસની શોધ તથા ઉત્પાદનમાં મૂડીરોકાણ કેવી રીતે વધારવાના માર્ગો અંગે પણ આ ત્રીજી વાર્ષિક બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

વડા પ્રધાન મોદીએ એવી પહેલી બેઠક 2016ની પાંચ જાન્યુઆરીએ યોજી હતી. બીજી બેઠક 2017ના ઓક્ટોબરમાં યોજવામાં આવી હતી. સરકાર હસ્તકની ઓએનજીસી અને OIL કંપનીઓના તેલ-ગેસ ક્ષેત્રોના ઉત્પાદનમાં વિદેશી અને ખાનગી કંપનીઓને ઈક્વિટી આપવી જોઈએ એવા ગત્ બેઠકમાં સૂચનો કરવામાં આવ્યા હતા.

પરંતુ ઓએનજીસી કંપનીના જોરદાર વિરોધને કારણે તે પ્લાન અમલમાં મૂકી શકાયો નહોતો.

સોમવારની બેઠકમાં સાઉદી અરેબિયાના ઓઈલ ખાતાના પ્રધાન ખાલિદ અલ ફલીહ, બ્રિટિશ પેટ્રોલિયમના સીઈઓ બોબ ડુડલે, ટોટલ કંપનીના વડા પેટ્રિક ફોયેન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી, વેદાંતના વડા અનિલ અગ્રવાલ હાજરી આપશે એવી ધારણા છે.

આ બેઠકનું આયોજન નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યું છે.

ડોલર સામે રૂપિયાનું મૂલ્ય સતત ઘસાતું રહ્યું હોવાથી અને ક્રૂડ તેલના ભાવ સતત વધી રહ્યા હોવાથી વિદેશી ઈન્વેસ્ટરોએ આ મહિનાના પહેલા બે અઠવાડિયામાં ભારતીય મૂડીબજારોમાંથી રૂ. 266 અબજ (3.6 અબજ ડોલર) પાછા ખેંચી લીધા છે.