ફરીથી કાર્યરત થશે સ્ટરલાઈટ કોપર પ્લાન્ટ!! NGTએ સરકારના નિર્ણયને નકાર્યો

નવી દિલ્હી- તૂતીકોરિન સ્થિત વેદાંતા ગ્રુપની કંપની સ્ટરલાઈટના કોપર પ્લાન્ટને બંધ કરવાના તમિલનાડુ સરકારના નિર્ણયને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ રદ્દ કરી દીધો છે. આ સાથે તમિલનાડુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને નવો સહમતિ પત્ર જારી કરવાનો આદેશ આપ્યો છે. NGTએ સ્ટરલાઈટ પ્રતિબંધને અયોગ્ય ગણાવ્યો છે. આ વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન ઈ પલ્લાનીસામીએ NGTના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની વાત કરી છે.

NGT ચેરપર્સન જસ્ટિસ આદર્શ કુમાર ગોયલની બેન્ચે વેદાંતા લિમિટેડને આગામી 3 વર્ષમાં કલ્યાણકારી ગતિવિધિઓ પર 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા કહ્યું છે. વાર્ષિક 6 લાખ ટન કોપર ઉત્પાદન ક્ષમતા ધરાવતો સ્ટરલાઈટ પ્લાન્ટને મે મહિનામાં બંધ કરી દેવામાં આવ્યો હતો.

વેદાંતા લિમિટેડની તમિલનાડુમાં સ્ટરલાઈટ કોપર ફેક્ટરીને ફરી વખત ખોલવા અંગે નિર્ણય કરવા પર NGTએ એક કમિટીની રચના કરી હતી, જેણે રાજ્ય સરકારના નિર્ણયને ખોટો ઠેરવ્યો હતો. કંપની મે મહિનામાં રાજ્ય સરકાર તરફથી ફેક્ટરી બંધ કરવાના આદેશને પડકારતી એક અરજી દાખલ કરી હતી.

મોટી હિંસા બાદ બંધ થયો હતો પ્લાન્ટ

ગત મે મહિનામાં પ્લાન્ટના વિરોધમાં તામિલનાડૂમાં ભારે હિંસા ભડકી હતી, જેમાં 13 લોકોના મોત થયાં હતાં. તૂતીકોરિનમાં પ્લાન્ટનો વિરોધ કરી રહેલા લોકો 22 મેના રોજ ભીડ દ્વારા પથ્થરમારો અને આગની ઘટના બાદ પોલીસ ફાયરિંગમાં 13 લોકોના મોત થયાં હતાં.