મોદી સરકારના ‘અચ્છે દિન’ પર મૂડીઝની મહોર, 13 વર્ષ બાદ વધાર્યું ભારતનું રેટિંગ

નવી દિલ્હીઃ મોદી સરકાર અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સતત કડક નિર્ણયો લઈ રહી છે. દેશમાં ભલે આ નિર્ણયોનો વિરોધ થઈ રહ્યો હોય પરંતુ દુનિયાની ઘણી એજન્સીઓ દ્વારા મોદી સરકારના કડક નિર્ણયોની પ્રશંસા કરવામાં આવી છે. અમેરિકાની રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના ક્રેડિટ રેટિંગમાં સુધાર્યો કર્યો છે. ભારત અત્યારે BAA3માંથી ઉપર આવીને BAA2 ગ્રુપમાં આવી ગયું છે.

મુડીઝ દ્વારા આ રેંકિંગ સુધારવાનું કારણ ભારત દ્વારા કરવામાં આવી રહેલા આર્થિક અને સાંસ્થાનિક સુધારાઓ છે. આ રેટિંગમાં આશરે 13 વર્ષ બાદ બદલાવ આવ્યો છે. આ પહેલા 2004માં ભારતનું રેટિંગ BAA3 હતું. આ પહેલા 2015માં રેટિંગને સ્ટેબલથી પોઝિટિવની કેટેગરીમાં રાખવામાં આવ્યા હતા.

મૂડીઝના રિપોર્ટનું જો માનીએ તો સરકારે જે પ્રકારે નિર્ણયો લિધા છે તેનાથી સરકારી દેવાની વૃદ્ધીનું જોખમ ઓછું થઈ ગયું છે. રિપોર્ટનું કહેવું છે કે, સરકાર અત્યારે પોતાના કાર્યકાળના મધ્યમાં છે એટલે કે હજી મોટા નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ છે. સરકાર દ્વારા જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તેનાથી વ્યાપાર, વિદેશી રોકાણ સહિતની સ્થિતીમાં બદલાવ આવશે તે વાત નક્કી છે.

મૂડીઝના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત દ્વારા જેવી રિતે આર્થિક સુધારા માટે નિર્ણયો લેવામાં આવ્યા છે તેનાથી દુનિયા આશ્ચર્યચકિત બની ગઈ છે. જીએસટીના કારણે દેશમાં આંતરરાજ્ય વેપારમાં મોટો ફાયદો થશે. તે  સિવાય આધાર, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર સ્કીમ જેવા સુધારાઓમાં પણ નોન પર્ફોર્મિંગ લોન અને બેન્કિંગ સિસ્ટમમાં સુધારો આવ્યો છે.