નવી દિલ્હીઃ 49 વર્ષ જૂના એનેમી પ્રોપર્ટી એક્ટમાં સંશોધન બાદ ભારત સરકાર કેટલાંક લોકોની 9,400થી વધારે સંપત્તિઓ નીલામ કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકારના આ પગલાંથી ચીન ગભરાયેલું છે. હકીકતમાં છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતમાં ચીની રોકાણમાં તેજી આવી છે. ત્યારે ચીનને ડર સતાવી રહ્યો છે કે યુદ્ધની સ્થિતિમાં ભારત ક્યાંક શાઓમી અને લેનોવો જેવી કંપનીઓની સંપત્તિઓ પર પણ કબજો ન કરી લે.
ગત વર્ષે ડોકલામમાં ચીન તરફથી માર્ગ નિર્માણને લઈને ભારત સાથે લાંબા સમય સુધી તણાવ સર્જાયેલો રહ્યો હતો. અહીં બંને દેશોના સૈનિકો આમનેસામને ઉભા છે. જોકે બાદમાં વિવાદનું નિરાકરણ તો આવી ગયું પરંતુ વિભિન્ન મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે સંબંધોમાં તણાવ યથાવત છે.
ચીનના સરકારી દૈનિકપત્ર ગ્લોબલ ટાઈમ્સના એક લેખમાં કહેવામાં આવ્યું હતું કે જો ચીન અને ભારતીય સૈન્ય સંઘર્ષમાં જ રહ્યાં તો ભારતમાં વ્યાપાર કરી રહેલી ચીનની કંપનીઓ પર ભારત સરકાર કબજો કરી શકે છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીના આર્થિક સુધારાઓથી ભારત રોકાણની દ્રષ્ટિએ આકર્ષક બની રહ્યું છે, પરંતુ શત્રુ સંપત્તિ કાયદામાં સંશોધનથી ચીનના રોકાણકારોમાં ડરની ભાવના ઘર કરી શકે છે.