ગેસના ભાવ વધારી શકે છે સરકાર, રીલાયન્સ સહિત આ કંપનીઓનો વધશે નફો…

નવી દિલ્હીઃ આવનારા દિવસોમાં ઘરેલુ પરિયોજનાઓની નેચરલ ગેસની કીંમતમાં વધારો થઈ શકે છે. જો આવું થશે તો સતત ચોથીવાર ગેસની કીમતોમાં વૃદ્ધિ થશે. આપને જણાવી દઈએ કે ગેસની કીમતો દર છ મહિને નક્કી કરવામાં આવે છે. આ ગેસની કીમતોને લઈને નિર્ણયની મહત્વની તારીખો હોય છે તે 1 એપ્રિલ અને 1 ઓક્ટોબર છે. આ કીમતો ગેસ વેચનારા અમેરિકા, રશિયા અને કેનેડા જેવા દેશોના વેચાણ કેન્દ્રોમાં એક ત્રિમાસિક સમાપ્ત વર્ષમાં ગેસના સરેરાશ દરોના આધાર પર નિર્ધારિત કરવામાં આવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર 1 એપ્રિલથી સરકાર નેચરલ ગેસની કીમતો 10 ટકા વધારીને 3.72 ડોલર પ્રતિ કંપની એમએમબીટીયૂ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કઠિન ક્ષેત્રોથી ઉત્પાદિત ગેસના દર પણ વધીને આશરે 9 ડોલર પ્રતિ એમએમબીયૂટી કરવામાં આવી શકે છે જે અત્યારે 7.67 ડોલર છે. સરકારના આ નિર્ણયથી ઓએનજીસી અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓના નફામાં વધારો થશે. આનાથી સીએનજીના ભાવ પણ વધશે. આપને જણાવી દઈએ કે સરકારે 1 ઓક્ટોબર 2018ના રોજનેચરલ ગેસના ઘરેલુ ઉત્પાદકોને આપવામાં આવતી કીંમતને 3.06 ડોલર પ્રતિ એમએમબીટીયૂથી વધારીને 3.36 ડોલર પ્રતિ એમએમબીટીયૂ કરી હતી.

ભારત દેશ એ ગેસની કમીવાળો દેશ છે અને વાર્ષિક ગેસના વપરાશનો આશરે અડધા જેટલો ભાગ આયાત કરવામાં આવે છે. ભારત સૌથી વધારે કતારથી લિક્વિફાઈડ નેચરલ ગેસ મંગાવે છે. જાણકારી અનુસાર પ્રત્યેક વર્ષે કતાર 80.5 લાખ ટન લિક્વિફાઈડ નેચરલ ગેસ સપ્લાય કરે છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે દેશમાં ગેસ આધારિત અર્થવ્યવસ્થા હોય.

મોદી સરકાર દેશની ઊર્જાખપતમાં ગેસનો ભાગ વર્તમાન 6.5 ટકાથી વધારીને 2030 સુધી 15 ટકા કરવાનું લક્ષ્ય રાખે છે. તો નેચરલ ગેસની આયાતને ઓછી કરવા માટે દેશમાં શેલ ગેસ અને તેલ ભંડારની શોધનું કામ તેજ કરવાની પણ યોજના બની રહી છે.