રાંધણ ગેસની કીમતમાં વધારો, હવે ચૂકવવા પડશે આટલાં રુપિયા

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલ બાદ રાંધણ ગેસની કીમતમાં વધારો થયો છે. સબસિડીવાળા રાંધણ ગેસના બાટલાની કીંમત દિલ્હીમાં 1.49 રુપિયાથી વધીને 498.51 રુપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. આ પહેલાં જુલાઈ અને જૂનમાં પણ રાંધણ ગેસની કીમતોમાં વધારો થયો હતો.

આપને જણાવી દઈએ કે સબસિડી વગરના ગેસના બાટલાની કીંમત અત્યારે દિલ્હીમાં 789.50 રુપિયા છે. તો મુંબઈમાં 764.50 રુપિયા, કોલકત્તામાં 817.50 રુપિયા અને ચેન્નઈમાં 806 રુપિયા છે. આ તમામ કીંમતો ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર છે.

સરકાર રાંધણ ગેસની સબસિડીની રકમ સીધી જ લાભાર્થીના બેંક અકાઉન્ટમાં પહોંચાડે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવના ઘટાડા સાથે સબસિડી રકમમાં પણ બદલાવ આવે છે.

નિયમો અનુસાર એલપીજી પર જીએસટીની ચૂકવણી સિલિન્ડરના બજાર મૂલ્ય પર કરવાની હોય છે. મૂલ્યના વધારા-ઘટાડા પર સબસિડીની ચૂકવણી સરકાર કરશે પરંતુ ટેક્સની ચૂકવણી ગ્રાહકોએ કરવાની હોય છે. અને આ જ કારણ છે કે ટેક્સ વધવાથી સબસિડી વાળા ગેસના બાટલા દોઢ રુપિયા જેટલા મોંઘા થશે.