31 જુલાઈ સુધી ફાઈલ કરવો પડશે ઈનકમ ટેક્સ રિટર્ન, નહીં તો થશે દંડ

નવી દિલ્હીઃ જો તમારી વાર્ષિક ટેક્સેબસ ઈનકમ 2.5 લાખ રૂપીયા કરતા વધારે છે તો તમારા માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવો જરૂરી છે. નાણાકિય વર્ષ 2017-18 માટે ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. જો તમે 31 જુલાઈ સુધી ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કરતા તો તમારે 5000 રૂપીયા સુધીનો દંડ એટલે કે પેનલ્ટી ભરવી પડી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 5 લાખ અથવા તેનાથી ઓછી છે તો તેને 31 જુલાઈ સુધીમાં રિટર્ન ફાઈલ કરવું પડશે અને જો સમય અનુસાર તે રિટર્ન ફાઈલ ન કરે તો તેને 1000 રૂપીયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. 5 લાખ રૂપીયાથી વધારે આવક ધરાવતા લોકોએ 31 જુલાઈ સુધીમાં પોતાનું રિટર્ન ફાઈલ કરવાનું રહેશે અને જો તેઓ 31 જુલાઈ સુધીમાં રિટર્ન ફાઈલ નહી કરે તો તેમને 5000 રૂપીયા જેટલો દંડ ભરવો પડશે.

જો તમારી વાર્ષિક આવક 2.5 લાખ રૂપીયાથી વધારે છે તો તમારે ઈનકમ ટેક્સ એક્ટના વર્તમાન નિયમ અંતર્ગત આઈટીઆર ફાઈલ કરવું પડશે. ઈનકમ ટેક્સ વિભાગની તપાસમાં એ વાત સામે આવે કે તમારી આવક પર ટેક્સ લાગે છે અને આપે આઈટીઆર ફાઈલ નથી કર્યું તો ઈનકમ ટેક્સ વિભાગ આપની વિરૂદ્ધ ટેક્સ ચોરી મામલે કાર્યવાહી કરી શકે છે. આના માટે તમારે ટેક્સ અને વ્યાજ સહિત દંડ પણ ભરવો પડી શકે છે. સાથે જ ઈનકમ ટેક્સ વિભાગ આપની વિરૂદ્ધ કેસ પણ દાખલ કરી શકે છે.