કેવાયસીએ વધારી મુશ્કેલીઓ, લોકર બિઝનેસમાં ચિંતાના વાદળ

મુંબઈઃ ધનદોલતનો શુમાર હોય કે ગાંઠની કમાણી સાચવવાની હોય બેંકમાં લોકર હોવું એ પારિવારિક છતનું પ્રતીક આજે પણ માનવામાં આવે છે.હંમેશા ધમધમતાં રહેતાં આ લોકર બિઝનેસમાં જોકે હાલ ચિંતાના વાદળાં છવાયાં છે. જણાવાઈ રહ્યું છે કે આઈટીના દરોડાઓ વધતાં ખાનગી લોકર બિઝનેસને મોટો ફટકો પડ્યો છે. અગ્રણી વોલ્ટ પ્રોવાઇડર્સે નો યોર કસ્ટમર (KYC) પ્રક્રિયાને કડક બનાવી છે, તો ઘણી નાની કંપનીઓએ તેમનો લોકર બિઝનેસ બંધ કરી દીધો છે.આપને જણાવીએ કે ચાલુ વર્ષે કોલકાતાના વરદાન માર્કેટમાં આવકવેરા વિભાગે 600 લોકર્સ સાથેની વોલ્ટ સ્પેસ પર દરોડા પાડ્યાં હતાં. જેમાં કરોડો રૂપિયાના ઘરેણાં અને રોકડ મળ્યાં હતાં. છ મહિના પહેલાં દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં પણ દરોડા પડ્યાં હતાં. જેમાં આવકવેરા વિભાગને ₹25 કરોડની બિનહિસાબી રોકડ મળી હતી. બંને વોલ્ટમાં ગ્રાહકોના પૂરતા દસ્તાવેજ (KYC રેકોર્ડ)નો અભાવ હતો. તેને લીધે ટેક્સ વિભાગ માટે લોકરના માલિકને શોધવાનું મુશ્કેલ બન્યું હતું. 
મુંબઈ સ્થિત એક વોલ્ટ ફર્મ પણ આગામી છ મહિનામાં બિઝનેસ બંધ કરવાની યોજના ધરાવે છે. ફર્મ પ્રોપ્રાઇટરે જણાવ્યું હતું કે, “તાજેતરના દરોડાને કારણે અમારી પાસે જે થોડોઘણો બિઝનેસ પણ હતો તે છીનવાઈ ગયો છે. નોટબંધી પછી ખાનગી લોકર બિઝનેસ તરત જ પડી ભાંગ્યો હતો. હવે બહુ ઓછા બિઝનેસમેન મોટાપ્રમાણમાં રોકડ રાખતાં હોય છે. ITના દરોડાએ સમસ્યામાં ઉમેરો કર્યો છે.”

મુંબઈમાં પણ કેટલાક વોલ્ટ્સ છે, જે ગ્રાહકોના પૂરતાં KYC રેકોર્ડ રાખતાં નથી હોતાં. લોકરમાં મુકાયેલી ચીજો કાયદેસરની હોય ત્યાં સુધી કંપનીઓને વાંધો નથી આવતો પરંતુ તપાસ એજન્સી પૂછપરછ માટે આવે ત્યારે ગ્રાહકનો સંપર્ક થઈ શકે તેમ હોવો જોઈએ. લોકર્સમાં પડેલી ચીજો અંગે ફર્મને જોકે આશંકા હોય છે તો પોલીસનો સંપર્ક કરવામાં આવતો હોય છે. વોલ્ટ ઓપરેટર્સના જણાવ્યા અનુસાર નોટબંધી પહેલાં 2016 સુધી ખાનગી સેફકીપિંગ બિઝનેસ તેજીમાં હતો. આ સેવાનો ઉપયોગ વધુ તો નાના વેપારીઓ કરતાં હતાં. જેમાં જ્વેલર્સ અને હીરાના વેપારીઓનો સમાવેશ થતો હતો. જોકે, નોટબંધી પછી આ ટ્રેન્ડમાં ભારે ઘટાડો નોંધાયો છે. ધનાઢ્ય પરિવારો જોકે હજુ જ્વેલરી, દસ્તાવેજો અને અમુક વખત રોકડ રાખવા ખાનગી લોકર્સનો ઉપયોગ કરે છે.