આવકવેરાની મુક્તિ મર્યાદા વધીને રૂપિયા 3 લાખ કરવાની દરખાસ્ત

નવી દિલ્હી– પહેલી ફેબ્રુઆરી, 2018ના રોજ રજૂ થનાર જનરલ બજેટમાં કરદાતાઓ માટે આવકવેરાની મુક્તિ મર્યાદા 3 લાખ સુધીની થઈ શકે છે. 60 વર્ષથી વધુ અને 80 વર્ષથી ઓછી ઉંમરના સીનીયર સીટીઝન માટે ટેક્સ મુક્તિ મર્યાદા 3.50 લાખ અને 80 વર્ષથી ઉપરની ઉંમરના સુપર સીનીયર સીટીઝન માટે છૂટની મર્યાદા 5.50 લાખ રૂપિયા થઈ શકે છે.મોદી સરકારના આ બજેટમાં આવકવેરાની મુક્તિ મર્યાદાની ત્રણ દરખાસ્તો પર વિચાર થઈ રહ્યો છે. આ ત્રણ દરખાસ્તો નાણા મંત્રાલયના અધિકારીઓ અને ટેક્સ એક્સપર્ટની સાથે વાતચીત કરીને તૈયાર કરવામાં આવી છે. આ માટેનો આખરી નિર્ણય પીએમઓ સાથે બેઠક કરીને પછી લેવાશે.

હાલમાં કરદાતાને આવકવેરાની વ્યક્તિગત મુક્તિ મર્યાદા રૂપિયા 2.50 લાખ છે. સીનીયર સીટીઝનને રૂપિયા 3 લાખ છે અને સુપર સીનીયર સીટીઝનને રૂપિયા 5 લાખ છે. નાણા મંત્રાલયના સુત્રોના કહેવા પ્રમાણે આવકવેરાની વ્યક્તિગત મર્યાદામાં 50,000 રૂપિયાનો વધારો કરવા માટે સહમતિ સંઘાઈ ગઈ છે. તેના બે કારણો છે, એક તો 2019માં લોકસભાની ચૂંટણી આવે છે. તે પહેલા મતદાતાઓને આકર્ષવા માટે આવી છૂટ આપવી જોઈએ. બીજુ ફેબ્રુઆરી 2019માં સરકારનું છેલ્લે બજેટ હશે. તે ચૂંટણીના કેટલાક મહિનાઓ પહેલા બજેટ રજૂ થશે, ત્યારે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવો શક્ય નહી બને. તેમાં માત્ર આવક અને ખર્ચની જોગવાઈઓ જ કરવાની રહેશે.