જીએસટી કાઉન્સિલમાં નિર્ણયઃ 28 ટકા સ્લેબમાં હવે ફક્ત 50 લક્ઝરી આઇટમ

ગૌહાતી- જીએસટી કાઉન્સિલની બેઠકમાં 28 ટકા સ્લેબ બાબતે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે 28 જીએસટીના સ્લેબમાં હવે ફક્ત 50 ચીજવસ્તુઓ રહેશે.બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે 28 ટકા સ્લેબમાંથી શેવિંગ ક્રીમ, ટૂથપેસ્ટ, શેમ્પૂ, ટોકલેટ, માર્બલને હટાવી 18 ટકા સ્લેબમાં લાવી દેવાયાં છે. હવે 50 લક્ઝરી પ્રોડક્ટ 28 ટકાના સ્લેબમાં રહેશે. હાલ 28 ટકા સ્લેબમાં કુલ 227 આઈટમ છે તેમાંથી 50 લક્ઝરી આઇટમ્સ સિવાય બધી આઈટમ્સ 18 ટકા સ્લેબમાં ખસેડવામાં આવી છે.

ગઇકાલે શરુ થયેલી જીએસટી કાઉન્સિલની આ 23મી બેઠક છે.  જીએસટીની સંકલિત યોજના માટે ટેક્સ સ્લેબમાં ઘટાડાના સૂચનો પર બેઠકમાં વિચારણા કરવામાં આવી હતી.નાણાંપ્રધાન અણ જેટલીએ આ પહેલાં કહ્યું હતું તે કેટલીક વસ્તુઓ 28 ટકાના સ્લેબમાં ન હોવી જોઇએ. ગત સમયમાં યોજાયેલી ચારેક બેઠકમાં જીએસટી કાઉન્સિલે લગભગ 100 જેટલી વસ્તુઓના ટેક્સ સ્લેબમાં ઘટાડો કર્યો છે.

ભારત સરકારને પાછલાં ત્રણ મહિનામાં એટલે કે જીએસટી લાગુ પડ્યાંના પહેલાં 3 માસમાં સરકારી તિજોરીમાં કુલ 2.78 કરોડ લાખ રુપિયાની આવક થઇ છે.