શક્તિકાંત દાસ છે રિઝર્વ બેન્કના નવા ગવર્નર; એમણે નોટબંધી કાયદો લાગુ કર્યો હતો

મુંબઈ – કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના નવા ગવર્નર તરીકે ભૂતપૂર્વ નાણાસચિવ અને નાણાં પંચના સભ્ય શક્તિકાંત દાસની નિમણૂક કરી છે.

શક્તિકાંત દાસને ત્રણ વર્ષની મુદત માટે RBIના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

દાસ RBIના ગવર્નર તરીકે ઉર્જિત પટેલના અનુગામી બન્યા છે. પટેલે અંગત કારણોસર ગઈ કાલે એમના હોદ્દા પરથી ઓચિંતું રાજીનામું આપ્યું હતું.

દેશમાં જ્યારે નોટબંધી કાયદો લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે શક્તિકાંત દાસ આર્થિક બાબતોના સચિવ પદે હતા.

શક્તિકાંત દાસ તામિલનાડુના નિવૃત્ત આઈએએસ અધિકારી છે.

તેઓ હાલ દેશના 15મા નાણા પંચના સભ્ય છે.

નવી દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી માસ્ટર્સ ડિગ્રી લેનાર શક્તિકાંત દાસ કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચરના સંયુક્ત સચિવ રહી ચૂક્યા છે. આ ઉપરાંત એ તામિલનાડુ સરકારના સ્પેશિયલ કમિશનર અને રેવેન્યૂ કમિશનર, ઉદ્યોગ વિભાગના સચિવ ઉપરાંત અન્ય ઘણા મહત્ત્વના હોદ્દાઓ પર પણ એ સેવા આપી ચૂક્યા છે.

નોટબંધીનો નિર્ણય લેવામાં પણ શક્તિકાંતની મહત્ત્વની ભૂમિકા કરી હતી.

26 ફેબ્રુઆરી, 1957માં જન્મેલા શક્તિકાંત દાસ તાજેતરમાં વડા પ્રધાન મોદીની સાથે G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બુએનોસ આઈરેસ પણ ગયા હતા.