રુપિયામાં ઘટાડાને લઈને કોઈ ચિંતાની વાત નથીઃ નીતિ આયોગ

નવી દિલ્હીઃ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપતાં જણાવ્યું છે કે ડોલરની સરખામણીએ રુપિયો નબળો પડ્યો છે તેને લઈને ચિંતા કરવાની કોઈ જરુરિયાત નથી. તેમણે જણાવ્યું કે રુપિયો પોતાના સ્વાભાવિક મૂલ્યની સ્થિતિમાં પાછો આવી રહ્યો છે.

રાજીવ કુમારે જણાવ્યું કે ગત ત્રણ વર્ષમાં રુપિયો 17 ટકા જેટલો વધ્યો છે જ્યારે આ વર્ષની શરુઆતથી રુપિયો 9.8 ટકા જેટલો ઘટ્યો છે. એટલા માટે રુપિયો પોતાના સ્વાભાવિક મુલ્ય તરફ આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે રુપિયાનું મુલ્ય વાસ્તવિક રીતે નક્કી થવું જોઈએ ન કે તેને વધારી દેવું જોઈએ.

વિનિમય દર એ માનક છે કે જે માંગની આપૂર્તિ વચ્ચે યોગ્ય સંતુલનને દર્શાવે છે. કુમારે જણાવ્યું કે લોકોએ એ ભ્રમમાં ન રહેવું જોઈએ કે રુપિયામાં મજબૂતી મજબૂત અર્થવ્યવસ્થાનો સંકેત છે. પત્રકારો દ્વારા જ્યારે કુમારને પુછવામાં આવ્યું કે આ ચિંતાનો વિષય છે કે કેમ? ત્યારે તેમણે જણાવ્યું કે એક હદ સુધી નથી.

ઉલ્લેખનીય છે કે રુપિયામાં ઘટાડાનો દોર યથાવત રહેતા ડોલરની સરખામણીએ રુપિયો આજે 43 પૈસા ઘટીને 70.32ના અત્યાર સુધીના પોતાના સૌથી નિચલા સ્તર પર પહોંચી ગયો છે.