ચાઇનિઝ વસ્તુઓના બજારમાં 45 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં દીવાળીના માર્કેટ પર ચીની ઉત્પાદનો પોતાનુ શાસન જમાવીને બેઠાં છે, પરંતુ આ વર્ષે દીવાળી પ્રોડક્ટ્સના વેચાણમાં મોટી માત્રામાં ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે. દર વર્ષે લાઈટથી લઈને ગિફ્ટ સુધી અને ઘર સજાવવાના સામાનથી લઈને ફટાકડા સુધીની તમામ વસ્તુઓ ચીનથી આયાત થાય છે. ચીની ઉત્પાદનોના વેચાણમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે 40 થી 50 ટકા જેટલો ઘટાડો નોંધાઈ શકે છે. એએસડીએફ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે.


એસોચેમના સેક્રેટરી જનરલ ડીએસ રાવતે જણાવ્યું કે દીવાળી દરમિયાન સૌથી વધારે કમાણી કરનારા પ્રોડક્ટ્સના વેચાણમાં આ વર્ષે 40 થી 50 ટકા જેટલો ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે. તો આ સિવાય ચીનમાં બનાવવામાં ઈલેક્ટ્રોનિક સાધનો જેવા કે મોબાઈલ ફોન, એલસીડી, એલઈડી વગેરે જેવી વસ્તુઓનુ ઉત્પાદન 15 થી 20 ટકા જેટલું ઘટી શકે છે. ઉદ્યોગ મંડળે જણાવ્યું કે તેણે દેશના કેટલાય શહેરો જેવાકે અમદાવાદ, બેંગલોર, ચેન્નઈ, દિલ્હી, દહેરાદૂન, હૈદરાબાદ, જયપુર, લખનઉ અને મુંબઈમાં ચીની ઉત્પાદનોનું અનુમાનિત વેચાણ જાણવા માટે હોલસેલર્સ અને રીટેલર્સ ટ્રેડર્સ સાથે વાત કરીને આંકડાઓ પ્રાપ્ત કર્યા છે.

એક અનુમાન અનુસાર વર્ષ 2016માં ભારતમાં ચીની ઉત્પાદનોનું વેચાણ 4 હજાર કરોડ રૂપિયા જેટલું હતું. કુલ વેચાણમાં 4 હજાર કરોડ રૂપિયાનુ વેચાણ દીવાળી સાથે જોડાયેલા સામાનનું થતું હતું. સર્વે અનુસાર આ વર્ષે દીવાળીમાં લોકો ભારતીય બજારમાં બનેલી વસ્તુઓ ખરીદવાને વધારે પ્રાધાન્ય આપી રહ્યાં છે. સર્વે દરમિયાન દુકાનદારો પાસેથી મળેલી વિગતો અનુસાર જોવા જઈએ તો મોટાભાગના ગ્રાહકો ભારતીય લાઈટ્સની માગણી કરી રહ્યા છે. ચીની ઉત્પાદનોનું વેચાણ ઘટવાનું એક કારણ ચીની ઉત્પાદનો વિરૂદ્ધ ભારત દેશમાં બનેલો માહોલ પણ કારણભૂત છે. તો આ સિવાય દુકાનદારો ચીની સામાન પર કોઈ ગેરંટી નથી આપતા અને એટલા માટે પણ લોકો ચીની સામાનને વધારે નાપસંદ કરી રહ્યાં છે.