બેંક-મોબાઈલ આધાર લિંકિંગ માટે બે કાયદામાં ફેરફાર કરશે મોદી સરકાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં ટેલિગ્રાફ એક્ટ અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટમાં સંશોધનના મુસદ્દાને મંજૂરી આપવામાં આવી છે.

હકીકતમાં આ વર્ષે ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડને લઈને પોતાનો ઐતિહાસિક નિર્ણય સંભળાવતા પ્રાઈવેટ કંપનીઓ દ્વારા ઓનલાઈન આધાર ઓથેન્ટિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કોર્ટના નિર્ણય બાદ દૂરસંચાર અને ફિનટેક કંપનીઓએ સરકારને આધારના ઉપયોગ પર પ્રતિબંધથી છૂટ આપવા અરજી કરી હતી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર બંને વર્તમાન કાયદામાં પ્રસ્તાવિત સંશોધન થયા બાદ કોઈ વ્યક્તિ નવા મોબાઈલ ફોન કનેક્શન લેવા અને બેંક અકાઉન્ટ ખોલવા માટે 12 આંકડા વાળી ઓળખ સંખ્યાને પોતાની મરજી હશે તો જાહેર કરી શકશે. સુપ્રીમનો નિર્ણય આમાં આડો નહી આવે.

સુપ્રીમ કોર્ટે આધાર એક્ટ સેક્શન 57ને ફગાવી દીધું હતું અને જેના અંતર્ગત સિમ કાર્ડ અને બેંક ખાતા સાથે આધાર લિંક કરાવવું અનિવાર્ય હતું. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે આ પ્રાવધાનનો કોઈ કાનૂની આધાર નથી. એ જ કારણ છે કે આધાર દ્વારા મોબાઈલ સીમને કાયદાકીય રીતે સમર્થન  ઉપ્લબ્ધ કરાવવા માટે ટેલિગ્રાફ એક્ટને સંશોધિત કરવામાં આવી રહ્યો છે.

આ જ પ્રકારે PMLA માં સંશોધન બાદ લોકો પાસે કેવાયસી માટે પોતાના બેંક અકાઉન્ટને આધાર કાર્ડથી લિંક કરાવવાનો વિકલ્પ ઉપલબ્ધ હશે. સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક નિર્ણયમાં આધારની સંવૈધાનિક વૈધતા પર મહોર લગાવતાં કહ્યું હતું કે સરકાર દ્વારા પ્રાયોજિત કલ્યાણકારી યોજનાઓની સબસિડી માટે જરુરી ગણાવ્યું હતું. કોર્ટે પોતાના આદેશમાં એ પણ જણાવ્યું હતું કે બેંક અકાઉન્ટ ખોલવા અથવા મોબાઈલ ફોન કનેક્શન લેવા માટે આધારને અનિવાર્ય ન બનાવી શકાય. કોર્ટે આ નિર્ણય પ્રાઈવસી ચિંતાઓને લઈને દાખલ અરજીઓ પર આપ્યો હતો.