એમેઝોન પર દેખાયાં દેવીદેવતાઓના અપમાનજનક ફોટોઝ, થયો વિરોધ…

નવી દિલ્હીઃ ઈ-કોમર્સ કંપની એમેઝોનને સોશિયલ મીડિયા પર હજારો લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. કંપનીનો વિરોધ હિંદુ-દેવીદેવતાઓના ફોટાવાળા ટોયલેટ સીટ કવર દેખાડ્યાં બાદ થયો છે. જોતજોતામાં એમેઝોન વિરુદ્ધ 24,000થી વધારે ટ્વિટ્સ કરવામાં આવ્યા. કેટલાક ટ્વિટ તો વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને પણ ટેગ કરવામાં આવ્યાં.

સંપર્ક કરવા પર એમેઝોનના પ્રવકતાએ પીટીઆઈને કહ્યું હતું કે એમેઝોનના તમામ વિક્રેતાઓએ કંપનીના દિશાનિર્દેશોનું પાલન કરવું જોઈએ. જે આમ નહી કરે તેમને કાર્યવાહીનો સામનો કરવો પડશે. આવા વિક્રેતાઓને એમેઝોનના પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી શકે છે. પ્રવકતાએ કહ્યું હતું કે જે વસ્તુને લઈને સવાલ ઉભો થયો છે, તેને અમારા સ્ટોરમાંથી હટાવી દેવાઈ રહ્યાં છે.આપને જણાવી દઈએ કે પહેલા કેનેડામાં ડોરમેટ પર ભારતીય ઝંડો છાપવાને લઈને પણ એમેઝોન વિવાદોમાં આવ્યું હતું. આ ઘટના બાદ એમેઝોનનો ખૂબ વિરોધ થયો હતો. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે આને લઈને એમેઝોનને ચેતવણી પણ આપી હતી.

તેમણે કહ્યું હતું કે એમેઝોન આ મામલે માફી માંગે અને રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરનારા તમામ પ્રોડક્ટ્સને પાછા ખેંચી લે. સુષમાએ આવું ન કરવા પર એમેઝોન અધિકારીઓને આગળથી વિઝા ન આપવાની ચેતવણી આપી હતી. સુષમાની ચેતવણી બાદ એમેઝોને કેનેડાની પોતાની વેબસાઈટ પરથી તિરંગાવાળા ડોરમેટ હટાવી લીધાં હતાં.