અદાણીએ જેપી ઈન્ફ્રાટેક ખરીદવા લગાવી 1700 કરોડની બોલી…

નવી દિલ્હીઃ અદાણી સમૂહે દેવાના બોજ તળે દબાયેલી જેપી ઈન્ફ્રાટેકને ખરીદવા માટે સ્વૈચ્છિક રુપે બોલી લગાવી છે. સાથે જ અદાણી સમૂહ ફસાયેલી આવાસીય પરિયોજનાઓના નિર્માણમાં તેજી લાવવા માટે 17,000 કરોડ રુપિયા તેમાં નાંખવા માટે પણ તૈયાર છે. બીજી તરફ અદાણી સમૂહની કંપની અદાણી એન્ટરપ્રાઈઝીઝના ત્રિમાસિક નફામાં પણ 56 ટકાનો વધારો થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અદાણી ગ્રુપે કર્મચારીઓની સાથે જ સુરક્ષિત અને અસુરક્ષિત ઋણદાતાઓના દાવાઓ માટે પણ 1000 કરોડ રુપિયા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ રકમ 500-500 કરોડ રુપિયા કરીને બે વાર આપવામાં આવશે. કંપની એસેટ સાથે જ ઋણની અદલા-બદલી માટે બેંકરોને 1000 એકર જમીન પણ હસ્તાંતરિત કરશે.

અદાણી સમૂહે બેંકરપ્સી પ્રોસેસના પ્રથમ દોરમાં ભાગ લીધો હતો, પરંતુ વર્તમાન દોરમાં નક્કી સમય સીમામાં બોલી નહોતી જમાં કરાવી. જો કે બાદમાં અદાણી સમૂહે જેપી ઈન્ફ્રાટેકના અધિગ્રહણ માટે બોલી લગાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેપી ઈન્ફ્રા, જેપી સમૂહની પ્રમુખ કંપની જયપ્રકાશ એસોસિએટ્સની સહયોગી કંપની છે. પ્રાપ્ત વિગતો અનુસાર અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડે જેપી ઈન્ફ્રાટેકના આઈઆરપી અનુજ જૈનને સમાધાન યોજના જમા કરાવી છે. સોલ્યુશન પ્રોફેશનલે સાર્વજનિક કંપની એનબીસીસી દ્વારા જમા કરાવવામાં આવેલા સોલ્યુશન પ્લાનિંગ પર વાતચિત માટે ઋણદાતાઓની સમિતિની બેઠક બોલાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સીઓસીની બેઠકના એજન્ડામાં અદાણી સમૂહની બોલી પર વિચાર કરવો શામેલ નથી, પરંતુ ઋણદાતા અને મકાન ખરીદદાર બેઠક દરમિયાન પ્રસ્તાવ પર ચર્ચા કરવાનો નિર્ણય લઈ શકે છે.