જો આપશો બેનામી સંપત્તિની ખબર, મોદી સરકાર આપશે અધધધ… ઈનામ

નવી દિલ્હી- બેનામી મિલકત ધારકો પર પ્રહાર કરવા મોદી સરકારે તૈયારી શરુ કરી દીધી છે. જે ઉદ્દેશ્યથી સરકારે બેનામી સંપત્તિની માહિતી આપનારા લોકો માટે રુપિયા 1 કરોડના ઈનામની જાહેરાત કરી છે. આવકવેરા વિભાગે બેનામી સંપત્તિને બહાર લાવવા ‘બેનામી ટ્રાન્સફર સૂચના રિવર્ડ યોજના-2018’ની શરુઆત કરી છે, જે અંતર્ગત કોઈ પણ વ્યક્તિની બેનામી સંપત્તિ વિશેની માહિતી આપવા બદલ એક કરોડની ઈનામી રકમ મળશે.
નાણાં મંત્રાલયે માહિતી આપી અને જણાવ્યું કે, ‘બેનામી ટ્રાન્સફર સૂચના રિવર્ડ યોજના-2018’ હેઠળ અધિક કમિશનર આવકવેરા વિભાગના તપાસના કાર્યક્ષેત્ર હેઠળ આવતી બેનામી મિલકતની ચોક્કસ માહિતી આપનારાને રુપિયા 1 કરોડનું ઈનામ મળી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઈનામ મેળવનારા વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે. જો તેના દ્વારા આપવામાં આવેલી માહિતી ખોટી હશે તો ઈનામની રકમ આપવામાં નહીં આવે. આ માટે આવકવેરા વિભાગ પોતાના સ્તરે તપાસ કરશે. વધુમાં ઈનામની આ રકમ માત્ર ત્યારે જ આપવામાં આવશે જ્યારે બેનામી સંપત્તિ નિરોધક કાયદા 1988 હેઠળ આવતી હશે. આ કાયદામાં વર્ષ 2016માં સુધારો કરવામાં આવ્યો હતો.

શું છે બેનામી સંપત્તિ?

જ્યારે કોઈ વ્યક્તિ તેના પોતાના પૈસાથી કોઈ અન્ય વ્યક્તિ માટે સંપત્તિ ખરીદે છે ત્યારે તેને બેનામી સંપત્તિ માનવામાં આવે છે. જો કે, તે આવશ્યક છે કે મિલકતમાં લગાવવામાં આવેલા નાણાંનો સ્રોત અજાણ હોય, જેની માહિતી આવકવેરા વિભાગને પણ નથી હોતી. પછી તેની ચુકવણી રોકડ અથવા ચેક કોઈ પણ રીતે કરવામાં આવી હોય તેનાથી કોઈ ફરક નથી પડતો.

સુધારેલા કાયદા હેઠળ કેન્દ્ર સરકાર પાસે એ અધિકાર છે કે, તે આવી મિલકતને કોઈ પણ સમયે જપ્ત કરી શકે છે. સાથે જ બેનામી સંપત્તિની ખરીદી કરવા માટે દોષિત સાબિત થયેલા ખરીદદારને સાત વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે.