PMMY: મુદ્રા લોન ખાતાંઓમાં 2,313 ફ્રોડના મામલા સામે આવ્યાં…

નવી દિલ્હીઃ નાણાકિય વર્ષ 2016-17થી અત્યારસુધી પબ્લિક સેક્ટર બેંકોના PMMY ખાતામાં 2,313 ફ્રોડના મામલા સામે આવ્યા છે. સંસદમાં આજે આ જાણકારી શેર કરવામાં આવી છે. યોજનાના શરુઆતના સમયથી 21 જૂન 2019 સુધી પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના અંતર્ગત 19 કરોડથી વધારે લોન આપવામાં આવી છે.

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં એક લેખીત જવાબમાં કહ્યું કે પબ્લિક સેક્ટર બેંકોથી એકત્ર કરવામાં આવેલી જાણકારી અનુસાર છેલ્લા 3 વર્ષ અને વર્તમાન સમયમાં અત્યારસુધી 2,313 ખાતાઓમાં કથિત ફ્રોડના સમાચારો સામે આવ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે તમામ મામલાઓમાં તપાસ શરુ કરી દેવામાં આવી છે જેથી ક્ષતીઓનો ખ્યાલ આવી શકે અને અકાઉન્ટેબલીટી સુનિશ્ચિત થઈ શકે. 103 દોષીત કર્મચારીઓની ઓળખ કરવામાં આવી છે અને દિશા-નિર્દેશો અનુસાર 68 પર અત્યારસુધી કાર્યવાહી કરવામાં આવી છે.

સૌથી વધારે ફ્રોડની ફરિયાદો તમિલનાડુથી મળી છે જ્યારે ત્યારબાદ બીજા નંબર પર ચંદીગઢ અને આંધ્રપ્રદેશ રહ્યા છે. નાણા પ્રધાને આગળ કહ્યું કે કુલ નોન-પર્ફોર્મિંગ એસેટ્સની વાત કરીએ તો તેમાં 2.52 ટકા 2017-18ના મુકાબલે 2018-19માં 2.68 ટકાનો મામૂલી વધારો થયો છે.

લોકસભાને એ જાણકારી પણ આપવામાં આવી કે શિશુ કેટેગરી અંતર્ગત નોન પર્ફોર્મિંગ એસેટ્સમાં સતત ઘટાડો નોંધાયો છે. વર્ષ 2016-17માં 4.14 ટકા, 2017-18માં 1.93 ટકા અને 2018-19માં 1.29 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ સીવાય પબ્લિક સેક્ટર બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન્સ અને પોતાના બોર્ડ દ્વારા અપ્રૂવ કરવામાં આવેલી નીતિઓના હિસાબથી લોનની રકમની રિકવરી કરે છે. આ હિસાબથી જ એનપીએ પણ મોનિટર કરે છે. પ્રધાનમંત્રી યોજના અંતર્ગત ત્રણ કેટેગરી-શિશુ, કિશોર અને તરુણમાં લોન આપવામાં આવે છે.