₹2000ની કરન્સી નોટ બંધ થવાની નથીઃ સરકારની સ્પષ્ટતા

નવી દિલ્હી – કેન્દ્ર સરકારે આજે સ્પષ્ટતા કરી છે કે રૂ. 2000ના મૂલ્યવાળી ચલણી નોટ બંધ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 2016ના નવેંબરમાં નોટબંધી નિર્ણય લાગુ કર્યા બાદ 2000ના મૂલ્યવાળી ચલણી નોટ અમલમાં મૂકી હતી.

સરકારે વધુમાં જણાવ્યું છે કે રૂ. 10ના મૂલ્યવાળી પ્લાસ્ટિક બેન્કનોટ્સની અજમાયશ પાંચ સ્થળે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય નાણાંખાતાના રાજ્યકક્ષાના પ્રધાન પી. રાધાકૃષ્ણને લોકસભામાં લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે રૂ. 2000ની કરન્સી નોટ બંધ કરવાની સરકારની કોઈ યોજના નથી. પરંતુ કાળા ધનના દૂષણને ડામવા માટે સરકાર ટૂંક સમયમાં જ પ્લાસ્ટિક કરન્સી નોટ અમલમાં મૂકશે.

આ અજમાયશ કોચી, મૈસુરુ, જયપુર, શિમલા અને ભૂવનેશ્વરમાં યોજવામાં આવશે.