કાર્ડ સ્વાઇપથી 3800 કરોડ રુપિયાનું નુકસાનઃ SBI

નવી દિલ્હીઃ અગ્રણી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કાર્ડ સ્વાઇપ પેમેન્ટના લીધે 3800 કરોડનું નુકસાન થયું છે. નોટબંધી પછી પીઓએસ દ્વારા નાણાંની ચૂકવણીની પદ્ધતિ લવાઇ હતી. કેશલેસ યોજનાને ઉત્તેજન આપવા માટે ડેબિટ-ક્રેડિટ કાર્ડથી લોકો ઓનલાઇન મની ટ્રાન્ઝેક્શન તરફ વળે તે માટે આમ કરવામાં આવ્યું હતું.

પીઓએસના કારણે કાર્ડ ટ્રાન્ઝેક્શન વધ્યું પરંતુ એમડીઆર, કાર્ડનો ઓછો વપરાશ અને નબળાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે બેંકોને મોટું નુકસાન ઉઠાવવું પડ્યું છે. ગયા જાન્યુઆરીમાં બેંકોએ ખરીદેલાં પીઓએસની સંખ્યા 13.8 લાખ હતી તે આ વર્ષના જુલાઇ સુધીમાં 28 લાખ પહોંચી ગઇ છે.

સરકારે પીઓએસ વાપરવા માટે પ્રોત્સાહન આપ્યું છે અને બેંકોએ પણ મોટી સંખ્યામાં આ મશીન મૂક્યાં છે.પરંતુ તેનો લાભ બેંકોને તો જ મળે જો પીઓએસ ટ્રાન્સઝેક્શનમાં વધારો થાય.હજુ પણ મોટાભાગના લોકો એટીએમનો ઉપયોગ કરે છે.જેના કારણે બેંકોને નુકસાન થતું હોવાનું કહેવાયું છે. એસબીઆઈના અનુમાન પ્રમાણે ઇન્ટર બેન્ક ટ્રાન્ઝેક્શનથી પીઓએસ ટર્મિનલ પર 4,700 કરોડ રુપિયાનું નુકસાન થયું છે. તેમાંથી જો એક જ બેંકમાં થયેલાં પીઓએસ ટ્રાન્ઝેક્શનને ઘટાડી લઇએ તો પણ કુલ નુકસાન 3,800 કરોડ રુપિયાનું થયું છે.

નોંધપાત્ર છે કે કેટલાક દિવસ પહેલાં એસબીઆઇએ ચૂકવણી પદ્ધતિમાં ભારત QR ના સંકલનની જાહેરાત કરી હતી. એસબીઆઇ દ્વારા રજૂ કરાયેલ આ ટેકનિક દ્વારા, એસબીઆઇ કાર્ડધારક એસબીઆઇ કાર્ડ મોબાઇલ એપ્લિકેશનમાં ‘સ્કેન અને પે’ ફંક્શન દ્વારા QR કોડ આધારિત ચૂકવણી કરી શકે છે. ભારત QR કોડ ચૂકવણી વિકલ્પ સાથે, કાર્ડધારકો પીઓએસ અને ઓનલાઇન પર ભૌતિક કાર્ડનો ઉપયોગ કર્યા વિના વ્યવહારો કરી શકે છે