ગેરકાયદે સિંહદર્શન મામલે મોરારિબાપુ સામે હાઇકોર્ટમાં અરજી

જૂનાગઢ– ગીરના જંગલોની આદિમ પ્રકૃતિ વચ્ચે સિંહને વિહરતાં જોવાનો મોકો મળતો હોય તો લોકો ઘણી મહેનત કરતાં હોય છે. જોકે હાલમાં સિંહદર્શન માટે મનાઇ છે. જો ભૂલથી પણ સિંહદર્શન માટે જંગલમાં ગયાં તો ઘણી સખત કાનૂની કાર્યવાહી અને દંડનો સામનો કરવો પડે છે. ગયા વર્ષે આ રીતે ગીર જંગલમાં સ્ટાર સ્ટેટસનો સિક્કો ચલાવી સિંહદર્શને ગયેલાં જાણીતાં ક્રિકેટર જાડેજાનો કિસ્સો ઘણાંને યાદ હશે. ફરી એવી જ એક ઘટના બની છે ગીરમાં મુક્તમને વિહરતાં સિંહદર્શનનો સ્પેશિયલ શૉ જોવા માટે. જોકે આ વખતે આ ઘટનામાં જેના ફોટો વાયરલ થયાં છે તેઓ બહુ જાણીતાં રામભક્ત, સામાજિક સલાહકાર ખૂબ જ નામનાપ્રાપ્ત એવા કથાકાર મોરારિબાપુ છે. આ તસવીરોમાં સ્પષ્ટપણે જણાય છે કે મોરારિબાપુને આ રીતે ખાસ સિંહદર્શન કરાવવા માટે વનવિભાગના અધિકારીઓ પણ ઘણાં તત્પર છે. સિંહને લોકેટ કરી મોરારિબાપુ હતાં તે વિસ્તારમાં લાવવામાં આવ્યો હતો અને આરામદાયક સ્થિતિમાં કથાકાર મોરારિબાપુએ મા દુર્ગાની આ શક્તિશાળી સવારીના દર્શન કર્યાં હતાં. વાત અહીં સુધી દબાઇ ગઇ હોત પણ આ સોશિઅલ મીડિયાના જમાનામાં આ ફોટો વાયરલ થતાં પોરબંદરના એક વકીલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ અને તકેદારી વિભાગમાં કરાયેલી અરજીમાં વકીલ ભનુ ઓડેદરાએ ગેરકાયદે સિંહદર્શન કરાવનાર વનવિભાગ કર્મચારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહીની માગ કરી છે.