મુંબઈ ઈન્ડિયન્સનું વિજય સરઘસ, ભવ્ય પાર્ટી…

ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની 12મી આવૃત્તિ (આઈપીએલ-2019)ની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું 13 મે, સોમવારે રાતે દક્ષિણ મુંબઈમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ ચેમ્પિયન્સ પરેડમાં કેપ્ટન રોહિત શર્મા અને એનાં સાથી વિજયી ખેલાડીઓ ટીમનાં માલિક અંબાણી પરિવારના નિવાસસ્થાન 'એન્ટિલીયા' ખાતેથી ખુલ્લી બસમાં સવાર થયા હતા અને ટ્રાઈડેન્ટ હોટેલ ખાતે ગયા હતા. બસ જસલોક હોસ્પિટલ કોર્નર, મરીન ડ્રાઈવ જેવા વિસ્તારોમાંથી પસાર થઈ હતી અને પ્રશંસકોએ ખેલાડીઓને વધાવ્યા હતા, ખેલાડીઓએ પ્રશંસકો સાથે ફોટા પડાવ્યા હતા. ટ્રાઈડેન્ટ હોટેલથી ખેલાડીઓ પાછા 'એન્ટિલીયા' પહોંચ્યા હતા જ્યાં ટીમનાં માલિકો તરફથી એમને માટે ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં અનેક સેલિબ્રિટી વ્યક્તિઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યાં હતાં. મુંબઈ ઈન્ડિયન્સ ટીમે આ ચોથી વાર આઈપીએલ ટ્રોફી જીતી છે. 12 મે, રવિવારે હૈદરાબાદમાં રમાઈ ગયેલી ફાઈનલમાં તેણે ચેન્નાઈ સુપર કિંગ્સને 1-રનથી પરાજય આપ્યો હતો. ટીમ સોમવારે મુંબઈ પાછી ફરી હતી અને પરેડ શરૂ કરતા પૂર્વે ટીમના ખેલાડીઓ ટ્રોફી સાથે 'એન્ટિલીયા' પહોંચ્યા હતા જ્યાં નીતા અંબાણીએ એમનું સ્વાગત કર્યું હતું. ખેલાડીઓ ટીમના માલિક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પણ મળ્યા હતા. (તસવીરોઃ દીપક ધુરી)




















httpss://twitter.com/mipaltan/status/1127959717483958273