એનટીઆરના પુત્રનું કાર અકસ્માતમાં મરણ…

આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને તેલુગુ દેસમ પાર્ટીના સ્થાપક સ્વ. એન.ટી. રામારાવના પુત્ર અને તેલુગુ ફિલ્મોના અભિનેતા નંદમુરી હરિકૃષ્ણનું 29 ઓગસ્ટ, બુધવારે તેલંગણાના નાલગોંડામાં રોડ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. એ 61 વર્ષના હતા અને 1 સપ્ટેંબરે એમનો જન્મદિવસ આવે છે. ભૂતપૂર્વ સંસદસભ્ય અને આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન હરિકૃષ્ણ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે પડોશના આંધ્ર પ્રદેશના નેલ્લોર જતા હતા ત્યારે હૈદરાબાદ-વિજયવાડા હાઈવે પર એમની કાર ઊંધી વળી ગઈ હતી. એ વખતે કાર કલાકના 160 કિ.મી.ની ઝડપે દોડતી હતી. એ પોતે કાર ચલાવતા હતા. એમને માથામાં સખત ઈજા થઈ હતી અને એને કારણે હોસ્પિટલમાં એમનું મરણ નિપજ્યું હતું.