પેન્શનવધારા સહિતના મુદ્દે પૂર્વ MLA કારોબારી મળી

ગાંધીનગર- ગુજરાત એક્સ એમ.એલ.એ.કાઉન્સિલની ૪૪મી કારોબારી તથા ૨૩મી જનરલ સભા આજે સરકીટ હાઉસ ગાંધીનગર ખાતે કાઉન્સિલના ચેરમેન, પૂર્વ ધારાસભ્ય શ્રી બાબુભાઇ શાહના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં રાજ્યભરમાંથી ૬૪ જેટલા પૂર્વ અધ્યક્ષ, મંત્રીશ્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

૨૩મી જનરલ સભામાં પૂર્વ ધારાસભ્યોએ પેન્શન, તબીબી સેવાઓમાં લાભ વધારવા, એસ.ટી. બસ, રેલવે અને વિમાન પ્રવાસમાં રાહત તેમજ રહેઠાણના પ્લોટ જેવા વિવિધ મુદાઓ પર ચર્ચા-વિચારણા કરી હતી. આ ઉપરાંત કાઉન્સિલ દ્વારા રાજસ્થાનના બાડમેર સુધી આવતી ઇન્દિરાનગર કેનાલનો લાભ કચ્છને સિંચાઇ માટે આપવામાં આવે તે માટે ઠરાવ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં સંસ્થાના દિવંગત સભ્યશ્રીઓને બે મિનિટનું મૌન પાળીને શોકાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત સંસ્થાના ગત વર્ષના હિસાબો સર્વાનુમતેથી પસાર કરવામાં આવ્યા હતાં.