સોમનાથઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રુપાણીએ આજે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનીધ્યમાં પૂજા-અર્ચના કરી હતી. મુખ્યપ્રધાન વિજય રુપાણીએ અહીંયા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પૂજન અર્ચન કરી ગુજરાતની ઉન્નતી અને સર્વાંગી વિકાસ માટે સોમનાથ દાદાના શરણે પ્રાર્થના કરી હતી.
નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતિનભાઇ પટેલે આજે વહેલી સવારે ભગવાન સોમનાથ દાદાનાં પૂજન-અર્ચન કરી ધ્વજા અર્પણ કરી હતી. પરિવાર સાથે દર્શન-પૂજન અને મહાપૂજા કરી ભગવાન સોમનાથને સૈાના કલ્યાણની પ્રાર્થના કરી હતી. સોમનાથ મંદિર ખાતે મુખ્ય પૂજારી શ્રી ધનંજયદાદા અને બ્રહ્મગણોએ નાયબ મુખ્ય મંત્રીશ્રીને મહાપૂજા અને ધ્વજા પૂજન કરાવ્યું હતું.
દર્શન-પૂજન બાદ નાયબ સીએમે જણાવ્યું હતું કે હું દર વર્ષે શ્રાવણ માસના સોમવારે ભગવાન સોમનાથ દાદાનાં દર્શન-પૂજન માટે આવું છું તેજ રીતે આ વર્ષે દર્શન-પૂજન માટે આવ્યો છું અને આ વર્ષે ચોમાસું સારું થયું છે, તે આપણા સૈા અને ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ સારું છે.