સંરક્ષણ પ્રધાને સુરક્ષા જહાજ ‘સચેત’ને તરતું મૂક્યું…

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે દેશમાં જ સ્થાનિક ટેક્નોલોજી દ્વારા નિર્મિત ઓફ્ફશોર સુરક્ષા જહાજ 'સચેત'નું 21 ફેબ્રુઆરી, ગુરુવારે વાસ્કો શહેરમાં ગોવા શિપયાર્ડ ખાતે ઉદઘાટન કરી એના જલાવતરણની વિધિ સંપન્ન કરી હતી. એ પ્રસંગે કેન્દ્રીય આયુષ પ્રધાન શ્રીપાદ નાઈક, કોસ્ટ ગાર્ડના ડાયરેક્ટર જનરલ રાજેન્દ્ર સિંહ, કોસ્ટ ગાર્ડ કમાન્ડર (વેસ્ટર્ન સીબોર્ડ) કે. નટરાજન, ગોવા શિપયાર્ડ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર કોમોડોર બી.બી. નાગપાલ પણ ઉપસ્થિત હતા. 'સચેત' જહાજના નિર્માણની યોજનાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2016ની 13 નવેંબરે શુભારંભ કર્યો હતો. આ જહાજ ગોવા શિપયાર્ડ લિમિટેડના એન્જિનિયરો અને પ્રોફેશનલ્સે બનાવ્યું છે. એનો ઉપયોગ ભારતીય જળવિસ્તારના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોનના રક્ષણ માટે કરવામાં આવશે. 'સચેત'માં અત્યાધુનિક ટેક્નોલોજી, મશીનરી તથા કમ્પ્યુટરાઈઝ્ડ કન્ટ્રોલ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. 2400 ટન વજનનું આ જહાજ બચાવ કામગીરી તેમજ ચાંચિયાગીરી-વિરોધી પગલાં વખતે ક્વિક રીસ્પોન્સ બોટ્સ સાથે સુસજ્જ છે.