આંચકીની જાણ કરતો સ્માર્ટ પટ્ટો

આંચકીનું દર્દ ખૂબ જ અકળાવનારું હોય છે. પરંતુ હવે આંચકીને પકડી પાડતો એક સ્માર્ટ બૅન્ડ આવ્યો છે જેનાથી આંચકીના દર્દીઓના જે સગાવહાલાં હોય છે તેમને આંચકી આવવાના સંજોગોમાં જાણ થઈ જાય છે.

એમ્પાટિકા કંપનીએ એમ્બ્રેસ નામનો સ્માર્ટ બૅન્ડ બનાવ્યો છે. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામની આધુનિક મશીન લર્નિંગ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરે છે અને આંચકી પર નજર રાખે છે. આમ કરીને તે વપરાશકારોની શારીરિક માહિતી ભેગી કરે છે. તેના પરથી તે અસાધારણ પ્રસંગોનું તારણ કાઢે છે જેમાં આંચકીઓનો પણ સમાવેશ થાય છે.એમ્બ્રેસ બૅન્ડ સ્માર્ટ ફૉન અથવા આઈપૉડ સાથે બ્લુટૂથથી જોડાય છે અને ઍલર્ટ ઍપ સાથે તાલમેળથી કામ કરે છે. આ ઍપ જ્યારે વપરાશકારને આંચકી આવે છે ત્યારે તેના સગાવહાલાંને એસએમએસ કે ફૉન કૉલ દ્વારા સાવધાનીની આલબેલ પોકારે છે.

એમ્પાટિકાના સીઇઓ મેટ્ટીઓ લાઇએ કહ્યું કે એમ્બ્રેસ એ એક મેડિકલ ગ્રેડ ડિવાઇસ છે અને માત્ર એફડીએ દ્વારા મંજૂરી પ્રાપ્ત આંચકી પર નજર રાખનારી સ્માર્ટ વૉચ છે. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આંચકી જેવી ખૂબ જ ખતરનાક ચીજો પર ધ્યાન રાખે છે. તે જ્યારે આંચકી આવે ત્યારે સગાવહાલાને જાણ કરે છે જેથી તેઓ મદદે આવી શકે.

“એમ્બ્રેસ બીજી આંચકી પકડી પાડતી પ્રણાલિથી કઈ રીતે જુદી પડે છે? તે આંચકીના એકથી વધુ સંકેતો માપે છે. તેનો અનોખો ગુણધર્મ ઇલેક્ટ્રૉડર્મલ ઍક્ટિવિટી છે. આ એક સંકેત છે જેનો ઉપયોગ તણાવ સંશોધકો ચેતા તંત્રની પ્રવૃત્તિ સંબંધી શારીરિક ફેરફારોને માપવામાં કરે છે.

જ્યારે એમ્બ્રેસ આંચકીને પકડે છે ત્યારે તે એલર્ટ ઍપને આદેશ મોકલે છે. આ ઍપ પછી વપરાશકારે અગાઉથી જણાવેલા સગાવહાલાને સાવધાનીનો સંકેત મોકલે છે.ોતાીૂ

વપરાશકારો પોતે સગાવહાલાનાં નામ ઉમેરી શકે છે. આ સગાવહાલાંને આ ઍપ દ્વારા ફૉન કૉલ થશે અને સાથે વપરાશકારના જીપીએસ સાથેનો એક એસએમએસ જશે.

લાઇએ કહ્યું કે એક બીજું ઉત્પાદન પણ છે જે તેની સાથે કામ કરે છે. તે છે મેટ (Mate) નામની ડાયરી ઍપ જ્યાં સગુવહાલું એમ્બ્રેસ પહેરનાર દર્દીઓની ઊંઘ અને શારીરિક પ્રવૃત્તિઓ પર નજર રાખી શકે છે. મેટ ઍપ એમ્બ્રેસ દ્વારા સ્વયંભૂ પકડી પાડેલ આંચકીને દર્શાવે છે અને દર્દીઓ એવી આંચકીને પણ ઉમેરી શકે છે જેને સ્વયંભૂ પકડી શકાતી નથી.

એમ્બ્રેસના એક વપરાશકારનું કહેવું છે કે તેણે એમ્બ્રેસ એટલે ખરીદ્યું કારણકે તેને ઊંઘમાં જ આંચકી આવતી હતી. તેને બે વર્ષ પહેલાં ૪૦ મિનિટ માટે આંચકી આવી હતી. એમ્બ્રેસે આંચકી પકડી પાડી અને તરત જ તેણે જણાવેલા સગાવહાલાને જામ કરી. વપરાશકાર કહે છે કે એમ્બ્રેસે તેની જિંદગી બચાવી લીધી. તેનાથી મનને રાહત મળે છે કારણકે વપરાશકારને ખાતરી હોય છે કે તેને ચિંતાની જરૂર નથી. તેને કંઈ થશે તો તેના સગાવહાલાને તેની જાણ થઈ જશે. આના લીધે તેનો આત્મવિશ્વાસ પાછો ફર્યો છે.