દિવ્યાંગ વીરલાઓ દાન ઉત્સવમાં સ્તંભ પૂરવાર થયાં

પને જાણીને આશ્ચર્ય થશે કે દિવ્યાંગો દાન આપે છે… 28 દિવ્યાંગ વીરલાઓ દાન ઉત્સવમાં કેન્દ્ર સ્થાને રહીને વંચિત, ઝૂંપડપટ્ટીવાસીઓ અને મ્યુનિસિપલ શાળાઓના વિદ્યાર્થીઓ, આંગણવાડીઓ અને  ગામડાંઓમાં આ વર્ષે કશુંક આપવાના ઉમદા ઉદ્દેશમાં મોખરે રહ્યાં છે.

બ્લાઈન્ડ પિપલ્સ એસોસિએશન (બીપીએ) અને સંવેદનાની આગેવાની હેઠળ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિઓનું મેન્ટરીંગ કરીને એક વિશિષ્ટ રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો. મેન્ટર્સ દ્વારા પ્રોજેક્ટ હાથ ધરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વ્યક્તિઓને ટોચના કોર્પોરેટ હાઉસ અને શહેરની અગ્રણી વ્યક્તિઓ સમક્ષ પ્રેઝન્ટેશન આપવા માટે વ્યવસ્થિત તાલીમ આપવામાં આવી હતી, જેના પરિણામે તેમની પાસેથી 25 સ્ટેશનરી કીટસ, કપડાં, રમકડાં, દવાઓ, ખોરાક અને વ્હિલ ચેર્સ એકત્ર કરવામાં આવ્યા હતા.

બ્લાઈન્ડ પિપલ્સ એસોસિએશનના એક્ઝિક્યુટિવ સેક્રેટરી ડો.ભૂષણ પૂનાની chitralekha.com ને જણાવે છે કે “આ પ્રયાસ દિવ્યાંગ વ્યક્તિઓમાં આત્મવિશ્વાસ સીંચીને તેમની ક્ષમતામાં વિશ્વાસ ઉભો કરવા માટે હાથ ધરાયો હતો. તેમણે મેન્ટર્સના પૂરતા સહયોગથી આ સમગ્ર ઝૂંબેશ ચલાવી હતી. આ વર્ષે એક્ટ ઓફ ગીવીંગ (કશુંક આપવાનો ઉદ્દેશ) દ્વારા નવી ક્ષિતિજો હાંસલ કરવામાં આવી છે.”

દુષ્યંત જોષી દ્વારા અમદાવાદમાં જોય ઓફ ગીવીંગ વીકનો અભિગમ શરૂ કરાયો છે અને તા.2 થી 8 ઓક્ટોબર દરમ્યાન નવનીત એજ્યુકેશન, ઝેડ  બ્લુ, શાંગ્રીલા એક્સપોર્ટ પ્રા.લિ., રિયલ નમકીન, પુરોહિત સ્નેક્સ અને હેવમોર જેવા ટોચના કોર્પોરેટ હાઉસ દ્વારા તેનું અનુકરણ કરાય છે. આ કંપનીઓ આગળ આવીને સહાય પૂરી પાડે છે. શિવકુમાર અને તેમના જેવી વ્યક્તિઓ તથા તેમના સંબંધીઓ અને પાડોશીઓએ પણ આ ઉદ્દેશને સમર્થન પૂરૂ  પાડ્યું છે.

મુખ્ય મેન્ટર્સમાં નંદિનીબેન રાવલ, મુક્તિ જોષી, માણેક કોરડિયા, આરૂષી નાગર, મનુભાઈ ચૌધરી, મનિષા શાહ, શિવાની શાહ, જલ્પા માલવી અને સંવેદનાના સ્થાપક જાનકીબેન વસંતનો સમાવેશ થાય છે.

તા.2 ઓક્ટોબરના રોજ આંગણવાડીના બાળકોને રમકડાં, ફૂડ પેકેટસ, દવાઓ અને સ્ટેશનરીની ચીજોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે પછીના દિવસે સાણંદની ઝોલાપુર પ્રાયમરી સ્કૂલમાં વિતરણ કરાયું હતું. તા.4 ઓક્ટોબરના રોજ અમદાવાદના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કપડાંનું વિતરણ કરાયું હતું. તા.6 ઓક્ટોબરના રોજ હેવમોર, કુબેરનગરની મ્યુનિસિપલ શાળામાં કોમ્બો ભોજન અને આઈસ્ક્રીમનું વિતરણ કરશે. અમદાવાદના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં આગામી બે દિવસ દરમ્યાન રમકડાંઓનું વિતરણ કરવામાં આવશે.

દેશભરમાં વર્ષ 2009થી દાનઉત્સવ મનાવવામાં આવે છે અને તે કશુંક આપીને ખુશ થવાનો ઉત્સવ છે. આ ઝૂંબેશમાં કોઈપણ સંસ્થા કે વ્યક્તિ  સામેલ થઈ શકે છે. વર્ષ 2016માં 40 શહેરના અંદાજે 1 કરોડ લોકો એમાં સામેલ થયા હતા. કશુંક આપવાનો આ ઉત્સવ છે અને સમાજને કશુંક પરત કરવાનો પ્રયાસ છે.