મંત્રાધિરાજ નવકાર મંત્ર આરાધના

ન જેવું વિચારે છે, વાણી તેનું અનુકરણ કરે છે. વાણી જેવી થાય છે તેવા સંબંધો થાય છે. વચન જેવા હોય તેવા કર્મો થાય છે. વાણી થકી કર્મ કરવાની પ્રેરણા મળે છે. આમ, મનએ બધી ચીજોનું મૂળ છે. મંત્રએ મનને સંકટમાંથી ઉગારે છે, અને મંત્ર થકી મનુષ્યને શાંતિ અને પુણ્ય પણ મળે છે. જૈન ધર્મમાં મંત્રાધિરાજ મહામંત્ર એટલે કે નવકાર મહામંત્ર, એ મહાપ્રભાવી અને મન અને આત્માને તત્કાળ શાંતિ આપનાર મંત્ર છે. આ મંત્રથી સર્વકાળમાં પુણ્યનો ઉદય અને શુભની પ્રાપ્તિ થાય છે. નવકાર મહામંત્રનો પ્રભાવ અને ફળ એક પત્રમાં સમાવી શકાય તેમ નથી, તેનો પ્રભાવ અને કીર્તિ અમાપ છે.

નવકાર મહામંત્રમાં પંચ પરમેષ્ઠી ભગવંતોને પ્રણામ કરવામાં આવ્યા છે. આપણે જાણીએ છીએ કે આચાર્ય ભગવંતો દરેક કાળમાં ઉપસ્થિત હોય છે, તેઓ એક લોકમાંથી બીજા લોકમાં જીવમાત્રના કલ્યાણ અર્થે વિહાર કરતા હોય છે. જયારે કોઈ પણ જીવ જો સાચા હ્રદયથી ભગવંતોને યાદ કરે તો તેને જે તે સમયે, જે તે સ્થળે સિદ્ધ મુનિઓ અને ભગવંતોના આશીર્વાદ સુલભ થતા હોય છે. જેને સિદ્ધ મુનિઓ અને ભગવંતોના આશીર્વાદ મળે તેના સો કાર્ય સિદ્ધ થાય છે, તેમાં શંકા કરવા જેવું નથી.

नमो अरिहन्ताणम् કહેતા ૧૨ ગુણોથી ગુણવાન, આઠેય કર્મોથી મુક્ત, ૧૮ દોષોને ત્યાગનાર અરીહંત પરમાત્માને પ્રથમ નમસ્કાર કરવામાં આવ્યા છે. અરીહંત પ્રભુએ કઠોર સંયમ, ધ્યાન અને તપ દ્વારા પરમાત્મા પદ પામ્યું છે. આ મંગલકારી અરીહંત ભગવાનને નમસ્કાર કરવાથી સર્વકાળમાં પાપોનો નાશ થાય છે.नमो सिद्धाणं કહેતા સર્વે સિદ્ધ આત્મા કે જેઓ સંસારના તાપથી મુક્ત છે, આઠ કર્મોથી મુકત થઇ આઠ ગુણોને પામ્યા છે. તેવા સિદ્ધ આત્માઓ પણ અરિહંતોની આજ્ઞા પાળતા, સિદ્ધશીલા પર રહે છે. આ સિદ્ધ ભગવંતોને નમસ્કાર કહેવામાં આવ્યા છે.

नमो आयरियाणं  કહેતા આચાર્ય ભગવંતોને પ્રણામ કરવામાં આવ્યા છે. આચાર્યો તેમની નીચે અનેક સાધુ, સાધ્વી અને શ્રાવકોને માર્ગદર્શન આપીને ચતુર્વિધ સંઘમાં મોક્ષમાર્ગની આરાધના કરે છે. ૩૬ ગુણો યુક્ત આ આચાર્ય ભગવંતોની કૃપા થકી અનેક અજ્ઞાનીને સાચું જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય મળતા હોય છે. આચાર્યોને ભાવ ભર્યા નમસ્કાર કરવામાં આવ્યા છે.

नमो सिद्धाणं કહી સિદ્ધમુનિઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. नमो उवज्ज़ायानं  કહેતા ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે. પૂર્વ, અંગ, ઉપાંગ અને સુત્રોનો અભ્યાસ કરીને તેનું આચરણ કરનાર ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર મંગળકારી છે. नमो लोए सव्वसाहूणं કહીને સાધુ અને ગરીબ અને દુઃખીને મદદ કરનાર બધા જીવોને નમસ્કાર કરવામાં આવ્યા છે.  અહિંસા, સત્ય, દાન, શીલ અને તપથી જીવતા, સદા ૨૭ ગુણોમાં રહેતા. સંસારની મિથ્યા મોહજાળથી દુર અને અપરિગ્રહી જીવ એટલે કે સાધુઓને નમસ્કાર કહેવામાં આવ્યા છે. આ પાંચ પરમેષ્ઠી ભગવંતોને પ્રણામ કરવાથી કેટલું પુણ્ય મળે તે સામાન્ય જીવોએ વિચારવું જ ઘટે. આરાધકોએ પાંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર, સ્તુતિ, પ્રશંસા, સ્મરણ અને જાપ કરતા રહેવું જોઈએ.

નવકાર મહામંત્રના અક્ષરે અક્ષરે સિદ્ધિઓ છે, અષ્ટ મહાસિદ્ધિ, નવ નિધિ, ચૌદ પૂર્વનું જ્ઞાન, પ્રાપ્તિ અને લબ્ધી તેના જાપથી મળે છે. મુનિ ભગવંતો કહી ગયા છે કે જે આત્મા તેના જીવનકાળ દરમ્યાન નવ લાખ વાર મંત્ર ગણે તેને મુક્તિ પદ મળે છે. એક લાખ વાર મંત્ર ગણે તો ત્રીજે ભવે સિદ્ધિ થાય છે. ટૂંકમાં નવકાર મંત્રની આરાધના ક્યારેય વિફળ જતી નથી. માટે સુખ, શાંતિ અને મુક્તિ ઇચ્છતા જીવે અખંડ ધૂપ, દીપ રાખીને પૂર્વાભિમુખ થઈને રોજ નિત્યક્રમે ઓછામાં ઓછી એક માળા તો કરવી જ જોઇએ.

અહેવાલઃ નીરવ રંજન