રેલીમાં બોલ્યાં રાહુલ, ગુજરાતીઓએ મારી આદતો બગાડી નાખી

અંજાર-વિધાનસભા ચૂંટણી માટે પક્ષપ્રચાર કરી રહેલાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અંજારમાં સભાને સંબોધતાં ગુજરાતીઓની લાક્ષણિકતાને તેમણે જાણી લીધી છે તેવું સૂચવતાં વિધાન કર્યાં હતાં. પોતાના ઘરના રસોડાની વાત કરી હતી.

રાહુલે રેલીને સંબોધનની શરુઆતે પોતાના ઘરના રસોડામાં શુંશું છે તેનું રહસ્ય ખોલ્યું હતું.તેમણે કહ્યું કે કાલે મારી બહેન મારા ઘેર આવી હતી. તેણીએ કહ્યું કે રસોડામાં બધું ગુજરાતી છે, ખાખરા ગુજરાતી, અથાણું ગુજરાતી , મગફળી બધું ગુજરાતી. તો તમે લોકોએ મારી આદતો બગાડી દીધી છે મારું વજન વધી રહ્યું છે. આ રીતે રાહુલે ગુજરાતીઓને  પોતાની સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલાં તબક્કા માટે 9 ડીસેમ્બરે મતદાન થશે. જેમાં 89 બેઠક માટે કુલ923 ઉમેદવાર મેદાનમાં છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ સહિતના તમામ પક્ષ પાર્ટી જીતે તે માટે લોકોને મતની પ્રેરણા આપવા માટે કોઇ કસર છોડી રહ્યાં નથી.

રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસ ગુજરાતમાં પ્રવાસે આવ્યાં હતાં. જોકે અંજારની રેલીને સંબોધન કર્યાં પછી તેઓ ભૂજથી જ પરત દિલ્હી જવા રવાના થનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. તેમનો આ પ્રવાસ ઓખી વાવાઝોડાંને પગલે રદ કરવામાં આવ્યો છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગઇકાલે જ રાજ્યમાં યોજાયેલી તેમની તમામ સભાઓ રદ કરી દીધી હતી.