ચૂંટણીમાં 1.11 લાખથી વધુ અવિલોપ્ય શાહી બોટલનો ઉપયોગ થશે

ગાંધીનગર– ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવામાં કોઈ મતદાર બીજી વાર મતદાન ન કરી શકે તેની સાવચેતી રાખવા ચૂંટણી તંત્ર દ્વારા અવિલોપ્ય શાહીથી આંગળી પર નિશાની કરવામાં આવે છે. આ નિશાની સામાન્ય રીતે દરેક મતદારનાં ડાબા હાથની પહેલી આંગળી પર નખની ટોચથી લઈને પ્રથમ વેઢાનાં સાંધા સુધી કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયા ભારતીય ચૂંટણી તંત્રની સૂચના અનુસાર કરવામાં આવે છે.આ અવિલોપ્ય શાહી મૈસૂરથી મંગાવવામાં આવે છે. આ શાહીની ખાસિયત એ છે કે  જે તે મતદારની આંગળી પર એક વખત લગાવ્યા બાદ લાંબા સમય સુધી રહે છે.  તેના કારણે એક જ મતદાર દ્વારા બીજી વખત મતદાન કરવાની સંભાવના રહેતી નથી. રાજ્યનાં ૫૦ હજારથી વધુ મતદાન મથકો પર આ શાહીનો ઉપયોગ કરવામાં આવશે. આ ચૂંટણીમાં અવિલોપ્ય શાહીની ૧૦ મિ.લી.ની એક બોટલ એવી અંદાજે ૧.૧૧ લાખ બોટલનો ઉપયોગ કરવામાં આવશે.