રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં સફળ રહ્યું મ્યુચ્યુઅલ ફંડ પરિસંવાદોનું આયોજન…

આદિત્ય બિરલા કેપિટલ તથા ‘ચિત્રલેખા’ દ્વારા રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં અનુક્રમે ૧૦, ૧૧ અને ૧૨ નવેમ્બરે મ્યુચ્યુઅલ ફંડ વિશે માર્ગદર્શક પરિસંવાદનું આયોજન કર્યું હતું. રાજકોટમાં ભૂતકાળમાં આ પ્રકારના પરિસંવાદ યોજાઈ ચૂકયા છે, પણ પોરબંદર અને જૂનાગઢમાં પહેલી જ વાર ઈન્વેસ્ટરોને આર્થિક જગતના નિષ્ણાતો તરફથી માર્ગદર્શન મળ્યું હતું. આર્થિક જગતમાં અંધાધૂંધીના અણસાર છે. નોટબંધી-જીએસટીના અમલ પછી વિકાસદર ઘટી રહ્યો છે. ફૂગાવો-મોંઘવારી-બેકારી પણ વધ્યાં છે. આવા અનિશ્ચિત માહોલ વચ્ચે નાણાંનું મૂડીરોકાણ તથા બચત માટે શું શું કરવું એનું સચોટ માર્ગદર્શન મેળવવા ઉક્ત ત્રણેય સ્થળે આયોજિત બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ કોન્કલેવ-2017 (ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ કાર્યક્રમ)માં ઈન્વેસ્ટરોએ મોટી સંખ્યામાં હાજર રહીને પરિસંવાદને સારો પ્રતિસાદ આપ્યો હતો. પરિસંવાદોમાં એસોસિયેટ વાઈસ પ્રેસિડન્ટ ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશનના ગુરુરાજે ‘મ્યુચ્યુઅલ ફંડનો માર્ગ રોકાણ માટે કઈ રીતે શ્રેષ્ઠ છે?’ વિષય પર ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપ્યું હતું. બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના વેસ્ટર્ન ઝોન હેડ મનીષ ઠક્કરે ‘મ્યુચ્યુઅલ ફંડના માર્ગે સંપત્તિ સર્જન કઈ રીતે?’ વિષય પર ઈન્વેસ્ટરો-શ્રોતાઓને સંબોધિત કર્યા હતા. ટોચના ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાએ ‘ફાઈનાન્સિયલ પ્લાનિંગ શા માટે ને કઈ રીતે?’ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. પરિસંવાદોનું સંચાલન જાણીતા ફાઈનાન્સિયલ માર્કેટ ટ્રેનર અમિત ત્રિવેદીએ કર્યું હતું. ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીએ ઈન્વેસ્ટરો-શ્રોતાઓ તથા આર્થિક નિષ્ણાતોનું સ્વાગત કર્યું હતું. પરિસંવાદોના આખરમાં સવાલ-જવાબ સત્ર પણ યોજવામાં આવ્યા હતા અને શ્રેષ્ઠ પાંચ સવાલને ઈનામ પણ આપવામાં આવ્યા હતા.