વૃશ્ચિકઃ જ્ઞાનની ચાહક, લાગણીશીલ અને રહસ્યમય રાશિ

વૃશ્ચિક રાશિએ મંગળ શાસિત રાશિ છે. સ્થિર સ્વભાવ અને જળ તત્વ પ્રધાન આ રાશિમાં લાગણી સાથે મક્કમતા પણ grah_nakshatraછે. વૃશ્ચિક રાશિના જાતકો સદા પોતાના કાર્યમાં લાગેલા રહે છે, તેઓને આમ દુનિયા કે સમાજ સાથે વધુ લાગલગાવ હોતા નથી. આ રાશિના જાતકો પોતાની જાતે પોતાનાથી જ સંતુષ્ટ રહેતા હોય છે તે આ રાશિની ખૂબી છે, તેઓ કોઈ પણ કાર્યનો તલસ્પર્શી અભ્યાસ કરવામાં માહેર હોય છે.

વૃશ્વિક રાશિના જાતકો જલદી જાહેર જીવનમાં આવતા નથી, તેનું મૂળ કારણ તેમનો અડગ અને શરમાળ સ્વભાવ ગણી શકાય. તેઓ જલદી પોતાના સ્વભાવ વિષે બોલી શકતા નથી, તેઓને જો પ્રેમપૂર્વક આમંત્રણ આપવામાં આવે તો તેઓ ચોક્કસ જ્ઞાનના નવા દ્વાર ઉઘાડી આપે તેટલા જ્ઞાની હોય છે. વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નબળો પડે છે, અહી ચંદ્ર આવે એટલે તે નિર્બળ બને છે. આ નિર્બળતા ચંદ્રને નહીં પણ વૃશ્ચિક રાશિના જાતકોને ચોક્કસ અસર કરે છે, તેઓ નિર્બળ ચંદ્રના યોગે નબળા મનના માલિક બને છે. તેઓ જ્યાં લાગણીનો પ્રશ્ન હોય ત્યાં ચોક્કસ હારી જાય છે અને જ્યાં નફા-નુકસાનની વાત હોય ત્યાં અસામાન્ય રીતે કઠોર બની જાય છે. વૃશ્ચિક રાશિના જાતકોના પ્રતિભાવ વિષે અંદાજ કાઢવો મુશ્કેલ જ રહે છે..vrishchik 1વૃશ્ચિક રાશિના જાતકોને જન્મ સાથે એક બહોળો પરિવાર અને વારસાગત સંસ્કારો વિશેષ રીતે મળતા હોય છે. તેઓના જીવન દરમ્યાન સ્થિર આવક વધુ રહે છે, તેઓ પોતાનું ધન જલદી ખર્ચતા નથી. પોતાના શોખ માટે પણ તેઓ મર્યાદિત રીતે જ ખર્ચ કરે છે. પરિવાર અર્જિત ધન અને સંપતિ તેઓ જીવનભર સાચવી શકે છે. તેઓ વ્યવસાયમાં હોય ત્યારે પણ એકધાર્યો વ્યવસાય કરી શકે છે, તેઓને ઉતાવળ જલદી પસંદ નથી પડતી. તેઓ સમય અનુસાર જ કાર્યોમાં ધ્યાન આપે છે. તેઓ સારા ડોક્ટર, વૈજ્ઞાનિક, સંશોધક, ઇન્સ્યોરન્સ એજન્ટ કે ઈજનેર બની શકે છે. વૃશ્ચિક રાશિના જાતકોને આવકની શરૂઆત જીવન દરમિયાન ખૂબ વહેલા સમયે થતી હોય છે, ૧૮મું વર્ષ તેમની માટે નિર્ણાયક હોય છે. ૩૨ંમુ વર્ષ તેમના જીવનનો મહત્વનો સમય કહી શકાય. આર્થિક બાબતે તેઓનું વલણ રૂઢિચુસ્ત હોય છે.

પ્રણાલિગત આવકના સાધનો અને તે અનુસાર તેઓ આર્થિક આયોજન કરતા હોય છે. તેઓ જલદી આર્થિક સાહસ કરતા નથી. વૃશ્ચિક રાશિના જાતકો અભ્યાસમાં અવ્વલ રહે છે, તેઓ ઓછી મહેનતે વધુ સફળ બને તેની સંભાવના વધુ હોય છે. તેઓ કોઈ પણ ક્ષેત્રમાં હોય, તેઓ જ્યાં જ્ઞાન અને બુદ્ધિની વાત છે ત્યાં તેઓ ઘણાબધા વિષયોનો એક જ સાર જલદી પામી જતા હોય છે, આ કારણે તેઓ અભ્યાસમાં સફળ રહે છે.

વૃશ્ચિક રાશિના જાતકો પોતાના મત અને અનુભવ અનુસાર જીવન જીવવામાં માને છે. વૃશ્ચિક રાશિના જાતકોને ભાઈ-બહેન સાથે સંબંધ મધ્યમ અને સમય અનુસાર રહે છે. તેઓ પોતાના ભાઈબહેનને ખૂબ મદદરૂપ થાય છે. જીવન દરમિયાન તેઓ પોતાના ભાઈબહેન માટે મોટી આર્થિક મદદ કરવામાં પણ પાછી પાની કરતા નથી. પરંતુ ખરું જોતાં વૃશ્ચિક રાશિના જાતકોને તેમનો લાગણીશીલ સ્વભાવ ખૂબ તકલીફ કરે છે, તેઓ કોઈ પણ સંબંધમાં વધુ ઊંડા ઉતરીને દુઃખી થતા હોય છે. વૃશ્ચિક રાશિના જાતકો જયારે પણ સંબંધ રાખે છે ત્યારે તેઓ કોઈ પણ કિમતે સંબંધ રાખે છે, બદલામાં જયારે તેમને અનુરૂપ વ્યવહાર ના મળે ત્યારે તેઓ અત્યંત દુઃખી થતા હોય છે.

મંગળ શાસિત વૃશ્ચિક રાશિના જાતકોને માતા સ્થાનનો સ્વામી શનિ અને પિતા સ્થાનનો સ્વામી સૂર્ય છે, તમે સમજી શકશો કે શનિને મંગળ સાથે બનતું નથી તો સૂર્ય સાથે મંગળનો સંબંધ સારો છે. પરિણામે વૃશ્ચિક રાશિના જાતકોને માતા પ્રત્યે સંબંધ જાળવવામાં તકલીફો રહે છે. ગ્રહોના સંબંધ અનુસાર, તેઓને પિતા પક્ષે વધુ પ્રેમ રહે છે. વૃશ્ચિક રાશિના જાતકોને મકાન બાબતે જલ્દી સુખ ફળીભૂત થતું નથી, તેઓને પોતાના મકાન માટે હમેશા પ્રશ્ન રહે છે. મારા મતે આ રાશિના જાતકોએ પોતાની પત્ની કે ઘરના બીજા સભ્ય કે જેની જન્મકુંડળીમાં મકાન બાબતે શુભ યોગ હોય, તેના નામે મકાન લેવું જોઈએ. અલબત બીજા બધા કારણો અને જન્મના ગ્રહોને ધ્યાનમાં લઈને નિર્ણય કરવાથી મકાન બાબતે થતી તકલીફથી બચી શકાશે.

વૃશ્ચિક રાશિના જાતકોને મંગળ રોગસ્થાનનો સ્વામી બને છે. ભૂમિપુત્ર મંગળ ગ્રહ શરીરના બંધારણ સાથે અને મુખ્ય તો લોહી સાથે સંબંધિત છે. પિત્તજન્ય રોગ, રક્તનો બગાડ થવો. અસામાન્ય બ્લડ પ્રેશર તથા કિડનીના દર્દો મંગળ ગ્રહ સૂચિત છે. મંગળ જો રાહુ કે શનિ સાથે હોય તો જાતકના દેહમાં અચૂક મોટી તકલીફ આવે છે. વૃશ્ચિક રાશિના જાતકોને ભાર્યાભાવનો માલિક શુક્ર બને છે, તેઓનું લગ્નજીવન શુભ હોય છે. તેઓને લગભગ ૨૫માં વર્ષની આસપાસ લગ્નજીવન નિશ્ચિત થતું હોય છે. મંગળ અને શુક્ર બંને વચ્ચે કુદરતી આકર્ષણ રહેલું છે. વૃશ્ચિક રાશિના જાતકોને પ્રેમલગ્ન થાય તો તે પણ સફળ રહે છે. લગ્નજીવન બાદ ગુરુ સંતાનભાવનો માલિક હોઈ, તેઓને સંતાન પ્રાપ્તિ પણ વહેલી થતી હોય છે. સંતાન માં-બાપ અનુસાર ગુણવાન અને તેજસ્વી હોય છે. તેઓને સંતાનો સાથે આજીવન પ્રેમ અને લાગણીનો સંબંધ અકબંધ રહે છે.

  • વૃશ્ચિક રાશિના જાતકોને ગુરુ, સૂર્ય અને ચંદ્ર શુભ ગ્રહો છે.
  • શનિ અને બુધ તેમને જલદી ફળતા નથી.
  • નોકરીમાં કે વ્યવસાયમાં પ્રગતિ માટે ચંદ્ર અને ગુરુના રત્ન ધારણ કરી શકાય.
  • ગુરુ અને ચંદ્રના જાપ તેઓને માનસિક શાંતિ સાથે ભાગ્ય બક્ષનાર સાબિત થાય છે.
  • વૃશ્ચિક રાશિના જાતકોને વૃશ્ચિક, કર્ક અને મીન રાશિના જાતકો સાથે સુંદર મનમેળ થાય છે.
  • કન્યા, વૃષભ અને મકર રાશિના જાતકો સાથે તેઓના સંબંધ એકબીજાને પોષક હોય છે.
  • તુલા, મેષ અને મિથુન રાશિના જાતકો સાથે તેઓને મનમેળ મુશ્કેલ રહે છે.
  • સિંહ, કુંભ અને ધન રાશિના જાતકો સાથે તેઓના સંબંધ માપસરના અને સંજોગ અનુસાર શુભ રહે છે.